રાજકોટ: રાજકોટમાં બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ રહી છે. પરંતુ કોરોના વાયરસના કારણે અંતિમ દિવસે બીસીસીઆઈએ મેદાન પર દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. BCCIના આદેશ બાદ બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે પાંચમાં દિવસની રમત દર્શકો વગર રમાશે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના જનગરલ મેનેજર સબા કરીમે કહ્યું કે શુક્રવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશની મંજૂરી નથી. દેશભરમાં ફેલાયેલા કોરોનાવાયરસના ખતરાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈ એ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરતા અંતિમ દિવસે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ પર રોક લગાવી દીધી છે.

બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીનો ફાઈનલ મુકાબલો ખૂબજ રોમાંચક બની ગયો છે. ચોથા દિવસના અંતે બંગાળે પોતાની પ્રથમ ઈનિંગમા છ વિકેટે 354 રન બનાવ્યા હતા. યજમાન સૌરાષ્ટ્રની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 425 રનનો સ્કોર બનાવ્યો હતો. હાલમાં બંગાળની ટીમ સૌરાષ્ટ્ર કરતા 71 રન પાછળ છે. તેની પાસે ચાર વિકેટ છે.