નવી દિલ્હી: રવિ શાસ્ત્રીએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની T20 સીરીઝ પહેલા મોટું નિવેદન આપ્યું છે. પાંચ મેચની T20 શ્રેણી (ભારત vs દક્ષિણ આફ્રિકા) 9 જૂનથી શરૂ થઈ રહી છે. ભારતના ભૂતપૂર્વ કોચ શાસ્ત્રીએ કહ્યું હતું કે અમને એમએસ ધોનીની જગ્યા ભરવા માટે એક વિકેટકીપરની જરૂર છે, જે ફિનિશર તરીકે પણ કામ કરી શકે. મારા મતે દિનેશ કાર્તિક આ રોલ માટે ફિટ છે. IPL 2022 માં કાર્તિકે ફિનિશર તરીકે RCB માટે સારી રમત બતાવી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 183થી ઉપર હતો. જેના કારણે તેને લાંબા સમય બાદ ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે.


સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું, “દિનેશ કાર્તિક માટે આ તક છે. જો તેને શ્રેણીમાં મેદાનમાં ઉતારવામાં આવે છે તો તે ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આપણે બધા જાણીએ છીએ કે તેની પાસે અનુભવ છે. તેથી તે વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે કહ્યું કે તમારે ટીમના દૃષ્ટિકોણથી જોવું પડશે કે તેઓ શું શોધી રહ્યા છે. શું તેઓને એવો વિકેટકીપર જોઈએ છે જે ક્રમમાં ટોચ પર બેટિંગ કરે કે પછી તેઓને એવો કીપર જોઈએ જે ફિનિશર હોય. હું બીજા વિકલ્પ સાથે છું. તમારે એક કીપરની જરૂર છે, જે એમએસ ધોનીની ભૂમિકા ભજવે.


રવિ શાસ્ત્રીએ કહ્યું કે ઋષભ પંત પહેલેથી જ ટીમમાં હાજર છે, જે T20 ક્રિકેટમાં ટોપ-4 અથવા ટોપ-5માં બેટિંગ કરી શકે છે. પરંતુ તમને કોઈ એવી વ્યક્તિ જોઈએ છે જે રમત સમાપ્ત કરી શકે. તેમણે કહ્યું કે ટીમમાં વધારે ફિનિશર્સ નથી, કેમ કે એમએસ ધોનીએ નિવૃત્તિ લઈ લીધી છે. તેથી, મને લાગે છે કે દિનેશ કાર્તિક પાસે સારી તક છે.