ચેન્નાઇઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ચેન્નાઇના મેદાનમાં પ્રથમ ટેસ્ટ શરૂ થઇ ચૂકી છે. ભારતીય ટીમે ઘરેલુ મેદાન પરની આ સીરીઝમાં કેટલાક ફેરફારો કર્યા છે. ખાસ કરીને ટીમમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મોકો આપવામાં આવ્યો છે. જ્યારે 36 વર્ષીય વિકેટકીપર રિદ્ધિમાન સાહા જે સતત ઘરેલુ ક્રિકેટ સીરીઝમાં વિકેટકીપિંગ કરતો રહેતો હતો, તેને આરામ આપવામાં આવ્યો છે.


ઘરેલુ ટેસ્ટ સીરીઝમાં પંતની વાપસી....
23 વર્ષીય ઋષભ પંતની ફરીથી વાપસી થઇ છે. પંતે છેલ્લીવાર બે વર્ષ પહેલા હૈદરાબાદમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ એક ઘરેલુ ટેસ્ટ મેચ રમી હતી, ત્યારબાદ તેને ઘરેલુ ક્રિકેટ સીરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પંતની વાપસી પાછળનુ કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ છે. ઋષભ પંતે સિડનીમાં ત્રીજી ટેસ્ટ બચાવવા અને બ્રિસ્બેન ટેસ્ટમાં ટીમને જીત અપાવવા મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ કારણે સાહાને આરામ આપીને પંતને ટીમમાં સામેલ કરાયો છે.

ફાઈલ તસવીર

ઓસ્ટ્રેલિયામાં જબરદસ્ત પરફોર્મન્સ....
ડાબોડી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઓસ્ટ્રેલિયામાં તરખાટ મચાવી દીધો હતો, ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બૉલરોની જબરદસ્ત ધૂલાઇ કરતા 97 રનની ઇનિંગ રમીને મેચ ડ્રૉ કરાવી હતી, જ્યારે ચોથી ટેસ્ટમાં 89 રનની તાબડતોડ બેટિંગ કરીને ભારતીય ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી. આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે ફરી એકવાર ઐતિહાસિક જીત મળવતા સીરીઝ પર 2-1થી કબજો જમાવ્યો હતો.