નવી દિલ્હીઃ અખિલ ભારતીય સીનિયર સિલેક્ટર સમિતીના અધ્યક્ષ એમએસકે પ્રસાદે 23 ડિસેમ્બરે ઋષભ પંતને લઇને એક મોટુ નિવેદન આપ્યુ. પ્રસાદે કહ્યું કે, ઋષભ પંતની વિકેટકીપિંગ હજુપણ ખરાબ છે.

બીસીસીઆઇએ પણ માન્યુ છે કે, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની વિકેટકીપિંગ હજુ પણ એકદમ ખરાબ સ્થિતિમાં છે. પ્રસાદે કહ્યું કે, પંતની વિકેટકીપિંગને સુધારવા માટે એક વિશેષજ્ઞને નિયુક્ત કરવામાં આવશે અને પંતને તેના અંડરમાં ખાસ ટ્રેનિંગ લેવી પડશે. ઉલ્લેખનીય છે કે પંત અગાઉ પણ પૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરેની દેખરેખમાં ટ્રેનિંગ લઇ ચૂક્યો છે, છતાં કોઇ મોટો સુધારો સામે આવ્યો નથી.



બીસીસીઆઇની પસંદગીનો સ્ટાફ ઋષભ પંતની વિકેટકીપિંગને લઇને નારાજ થયો હતો, અને તેમના સૂચનો પ્રમાણે હવે પંતને ખાસ ટ્રેનિંગ આપીને વિકેટકીપિંગ સુધારવાનુ કામ કરાવવાનુ કહ્યું હતુ.

વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝમાં 22 વર્ષીય ઋષભ પંત દ્વારા કેટલાય આસાન કેચ છોડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો, હવે આગામી શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સીરીઝમાં પણ સિલસિલો ચાલુ ના રહે તે માટે પંતને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. પ્રસાદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,- ''પંતે પોતાની વિકેટકીપિંગમાં સુધારો કરવો પડશે, અમે તેના માટે એક સ્પેશ્યલ વિકેટકીપિંગ કૉચને નિયુક્ત કરીશું.''