Road Safety World Series Final: રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં ફાઈનલ મુકાબલો આજે રાયપુરમાં સાંજે 7 વાગ્યે ઈન્ડિયા લિજેન્ડ્સ અને શ્રીલંકા લિજેન્ડ્સ વચ્ચે રમાશે. એવામાં એકવાર ફરી આ મુકાબલાથી  2011 વનડે વર્લ્ડકપની ફાઈનલ મેચની યાદો તાજી થશે.  ભારતે 2011 વર્લ્ડકપ ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત આઈસીસી વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ઈન્ડિયા લિજેન્ડ્સ પાસે આ સમયે 2011ના વર્લ્ડ કપ ટીમના પાંચ ખેલાડી છે. જ્યારે શ્રીલંકા પાસે 2011 વર્લ્ડ કપ ઉપવિજેતા ટીમના છ ખેલાડી આ ટીમમાં છે. 


સચિન તેંડુલકરની આગેવાનીવાળી ઈન્ડિયા લિજિડેન્સની ટીમમાં  વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, યુસુફ પઠાણ અને મુનાફ પટેલ જેવા ખેલાડીઓ છે. જ્યારે ફાસ્ટ બોલર ઝહિર ખાન ગત વર્ષે આ ટીમનો હિસ્સો હતો. તેની વચ્ચે શ્રીલંકા લિજેન્ડ્સ ટીમમાં કેપન્ટ તિલકરત્ને દિલશાન, રંગના હેરાથ, નુવાન કુલસેકરા, અજંતા મેન્ડિસ, ચમારા સિલ્વા અને ઉપુલ થરંગા સામેલ છે જે 2011 વર્લ્ડ કપ ઉપવિજેતા ટીમનો હિસ્સો હતો.  


ઈન્ડિયા લિજેન્ડ્સે વેસ્ટ ઈન્ડિઝ લિજેન્ડ્સને હરાવીને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં ઈન્ડિયા લિજેન્ડ્સે વેસ્ટ ઇન્ડિઝના લિજેન્ડ્સને 12 રને હરાવી હતી. વેસ્ટઈન્ડિઝ લિજેન્ડ સામે  શાનદાર બેટિંગ માટે યુવરાજ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 20 બોલમાં છ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 49 રન બનાવ્યા હતા. તેણે વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બોલર મહેન્દ્ર નાગામોટોની ઓવર (19મી ઓવર) માં ચાર સિક્સર ફટકારી હતી.


રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી -20 ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં શ્રીલંકા લિજેન્ડ્સે દક્ષિણ આફ્રિકા લિજેન્ડ્સને 8 વિકેટે હરાવી ફાઈનલમાં પહોંચી ગયું છે. શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાની જીત માટે ફાસ્ટ બોલર નુવાન કુલશેકરાએ પાંચ વિકેટ ઝડપી મોટું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાના બેટ્સમેનોએ ટીમને માત્ર 17.2 ઓવરમાં જ જીત અપાવી હતી.