Rohit Sharma: ભારતીય કેપ્ટન રોહિત શર્મા એપ્રિલમાં 37 વર્ષનો થઈ જશે. રોહિતે 2007માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતના કેટલાક વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ તેણે 2013માં વનડેમાં ઓપનિંગ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ 2019માં તેને ટેસ્ટમાં ઇનિંગ્સની શરૂઆત કરવાની તક મળી. રોહિત હવે ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન છે. પરંતુ વધતી ઉંમર સાથે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોહિત ભારત માટે કેટલો સમય રમશે.


 






નિવૃત્તિ પર રોહિતે શું કહ્યું?
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે જ્યારે મને લાગે છે કે હું તેટલો સારો નથી ત્યારે હું તરત જ નિવૃત્ત થઈશ. ભારતીય કેપ્ટને જિયો સિનેમા પર કહ્યું, એક દિવસ, જ્યારે હું જાગીશ અને મને લાગશે કે,  હું તેટલો સારો નથી, ત્યારે હું તરત જ નિવૃત્તિ લઈશ પરંતુ  મને લાગે છે કે મારામાં હજુ ઘણું ક્રિકેટ બાકી છે. હું મારા જીવનનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છું.


ઈંગ્લેન્ડ સામે રોહિતે મચાવી ધમાલ


રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સારા ફોર્મમાં જોવા મળ્યો હતો. પ્રથમ અને બીજી ટેસ્ટ સહિત તેના બેટમાંથી માત્ર 89 રન જ બન્યા હતા. પરંતુ રાજકોટ ટેસ્ટના પહેલા જ સેશનમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે રોહિતે સદી ફટકારીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. તેણે રાંચી ટેસ્ટની બીજી ઇનિંગમાં પોતાના બેટથી અડધી સદી ફટકારી હતી. ધર્મશાલામાં સદી ફટકારીને તેણે ભારતીય ટીમની જીત સુનિશ્ચિત કરી હતી.


આઈપીએલ અને વર્લ્ડ કપ પર નજર
હવે રોહિત શર્મા IPL 2024માં રમતો જોવા મળશે. તે લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે પરંતુ તે ટીમનો કેપ્ટન નથી. રોહિત 2013 બાદ પ્રથમ વખત ખેલાડી તરીકે લીગમાં રમશે. IPL બાદ જૂનમાં T20 વર્લ્ડ કપ છે. ભારતીય ટીમ રોહિતની કપ્તાનીમાં ટૂર્નામેન્ટમાં ઉતરશે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા આઈપીએલમાં પણ સફળ કેપ્ટન રહ્યો છે. તેમના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે પાંચ ટાઈટલ જીત્યા છે.