World Cup 2023 Semi Finalist India Pakistan: વર્લ્ડકપ 2023 આગામી 5 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે. આ વખતે આ મોટી ટૂર્નામેન્ટ ભારતમાં રમાવવાની છે, તેથી તમામની નજર રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ પર રહેશે. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાથે છે. આ ટૂર્નામેન્ટને લઈને પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે મહત્વની પ્રતિક્રિયા આપી છે, અને સાથે ભવિષ્યવાણી પણ કરી છે કે, આ વર્લ્ડકપમાં કઇ કઇ ટીમો હાવી રહેશે અને સેમિ ફાઇનલ સુધી પહોંચશે. સેહવાગે સેમીફાઈનલ વિશે ભવિષ્યવાણી કરી છે. તેને સેમિફાઇનલમાં પહોંચી શકે તેવી ચાર ટીમોના નામ આપ્યા છે.


વર્લ્ડકપને લઈને સેહવાગે કહ્યું કે, તેમના માનવા પ્રમાણે, આ વર્લ્ડકપમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી શકે છે. crickettimes.comના એક અહેવાલ મુજબ સેહવાગે કહ્યું, "જો હું સેમીફાઈનલની ચાર ટીમોના નામ લઉં તો તે ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા હશે." સહેવાગે આ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો ચોક્કસપણે સેમિફાઈનલમાં સ્થાન આપ્યુ છે, સહેવાગનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમ મજબૂત છે અને આ બંને ટીમોની રમવાની રીત અસરકારક છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમો વધુ સારી રીતે રમી રહી છે.


આ વખતે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચમાં ઈંગ્લેન્ડને જોરદાર ટક્કર મળી શકે છે. અમદાવાદમાં રમાનારી આ મેચમાં ન્યૂઝીલેન્ડ માટે પણ જીત આસાન નહીં હોય. જ્યારે ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ ભારત સાથે છે. ભારત માટે પણ આ પ્રથમ મેચ ટક્કરવાળી હશે. આ બંને ટીમો 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમશે. ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું આસાન નહીં હોય. તેને સખત પડકાર મળશે. પાકિસ્તાનની પ્રથમ મેચ નેધરલેન્ડ વિરુદ્ધ છે. આ મેચ 6 ઓક્ટોબરે રમાશે.


વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી સેમીફાઈનલ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ પછી ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.


2023 ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ


ઑક્ટોબર 8 - ઑસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં


11 ઓક્ટોબર – દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે


14 ઓક્ટોબર – અમદાવાદમાં પાકિસ્તાન સામે


19 ઓક્ટોબર - પુણેમાં બાંગ્લાદેશ સામે


22 ઓક્ટોબર – ધર્મશાલા ખાતે ન્યુઝીલેન્ડ સામે


29 ઑક્ટોબર - લખનૌમાં ઇંગ્લેન્ડ સામે


2 નવેમ્બર – મુંબઈમાં શ્રીલંકા સામે


5 નવેમ્બર - કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામે


12 નવેમ્બર - બેંગલુરુમાં નેધરલેન્ડ સામે.


25મી ઓગસ્ટથી ટિકિટ બુકિંગ શરૂ થશે. ક્રિકેટ ચાહકો 25મી ઓગસ્ટથી ભારત સિવાયની તમામ ટીમોની મેચની ટિકિટ બુક કરાવી શકશે. તે જ સમયે, ભારતની મેચોની ટિકિટ બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ થશે. ગુવાહાટી અને ત્રિવેન્દ્રમમાં રમાનારી ટીમ ઈન્ડિયાની મેચ માટે આ દિવસથી ટિકિટ બુક કરી શકાશે.


31 ઓગસ્ટથી, ચાહકો ભારતમાં ચેન્નાઈ, દિલ્હી અને પૂણેમાં યોજાનારી મેચોની ટિકિટ બુક કરી શકશે. આ પછી, 1 સપ્ટેમ્બરથી, તમે ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં મેચ માટે ટિકિટ બુક કરી શકશો. 2 સપ્ટેમ્બરથી બેંગ્લોર અને કોલકાતામાં યોજાનારી મેચોનું બુકિંગ શક્ય બનશે.