ICC World Cup 2023: અત્યારે ભારતમાં આઇસીસી વનડે ક્રિકેટ વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે, આ ટૂર્નામેન્ટમાં સૌથી મૉસ્ટ ફેવરિટ ટીમ ઇન્ડિયાને ગણવામાં આવે છે, પરંતુ હાલમાં ભારતીય ટીમ પોતાના સ્ટાર ઓપનર શુભમન ગીલને લઇને ચિંતિત છે, કેમ કે શુભમન ગીલ અત્યારે ડેન્ગ્યૂની બિમારીથી પીડિત છે. ભારતના સ્ટાર ઓપનર શુભમન ગીલના લેટેસ્ટ હેલ્થ અપડેટે ટીમ ઈન્ડિયા અને ચાહકોની ચિંતા વધારી દીધી છે. ડેન્ગ્યૂથી પીડિત શુભમન ગીલને પ્લેટલેટ્સ ઘટવાના કારણે ચેન્નાઈની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુભમન ગીલ બુધવારે અફઘાનિસ્તાન સામેની મેચમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે. હવે શનિવારે પાકિસ્તાન સામેની મેચમાં ગીલના રમવાની કોઈ શક્યતા દેખાતી નથી. ગીલની ગેરહાજરીમાં ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે.


મંગળવારના રોજ BCCI દ્વારા શુભમન ગીલની હેલ્થ અપડેટ જાહેર કરવામાં આવ્યુ હતુ. હેલ્થ અપડેટમાં જણાવવામાં આવ્યું હતું કે શુભમન ગીલ ટીમ સાથે દિલ્હી ગયો નથી અને તે ચેન્નાઈમાં રહીને તેની સારવાર કરાવી રહ્યો છે. લેટેસ્ટ માહિતી અનુસાર, મંગળવારની સાંજે શુભમન ગીલના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાલમાં શુભમન ગીલ ચેન્નાઈની હૉસ્પિટલમાં જ દાખલ છે.


ટીમમાં રહેશે શુભમન ગીલ 
ગયા અઠવાડિયે શુભમન ગીલનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ પછી ગીલ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાંથી બહાર થઈ ગયો હતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ગીલ શનિવારે પાકિસ્તાન સામે રમાનારી મેચ માટે ફિટ થશે, પરંતુ હવે આની કોઈ શક્યતા દેખાતી નથી. ડેન્ગ્યૂ જેવા રોગમાંથી સાજા થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગે છે. આવામાં ગીલ આવતા સપ્તાહની શરૂઆતમાં જ પ્રેક્ટિસમાં પરત ફરી શકશે.


જોકે, બીસીસીઆઈ ગીલના સ્થાનની જાહેરાત કરશે નહીં અને તે વર્લ્ડકપમાં ટીમનો ભાગ રહેશે. ગીલ આ વર્ષે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એકવાર સંપૂર્ણ ફિટ થઈ ગયા બાદ ગીલ વર્લ્ડકપમાં ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.


 2023માં ODIમાં ભારત માટે ટોપ સ્કોરર


ગિલ 2023માં વન-ડેમાં ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 20 મેચની 20 ઇનિંગ્સમાં 72.35ની એવરેજથી 1230 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 5 અડધી સદી સામેલ છે. આવી સ્થિતિમાં તે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.