શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ રોમાંચક તબક્કામાં પહોંચી છે. શ્રીલંકાની ટીમે અહીં શરૂઆતના બે દિવસ પ્રભુત્વ જમાવ્યું હતું પરંતુ કિવી ટીમે ત્રીજા દિવસે જોરદાર વાપસી કરી હતી. આ ટેસ્ટનું પરિણામ લગભગ નિશ્ચિત જણાય છે. જો આ પરિણામ શ્રીલંકાના પક્ષમાં આવે છે તો ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.






વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની ટીમે WTC ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. અહીં બીજી ટીમ માટે ભારત અને શ્રીલંકા વચ્ચે રેસ છે. જો ભારતીય ટીમ અમદાવાદ ટેસ્ટ જીતી જશે તો તે સીધી ડબલ્યુટીસી ફાઇનલમાં પહોંચી જશે, પરંતુ જો તેમ નહીં થાય તો તેણે શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ શ્રેણીના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. અહીં, જો શ્રીલંકાની ટીમ ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવશે તો ભારતને બદલે શ્રીલંકાને WTC ફાઈનલની ટિકિટ મળશે.


અમદાવાદમાં રમાઈ રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ હવે ડ્રો તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની સીરીઝ ઘણી મહત્વની બની ગઈ છે. ભારતીય ટીમ પ્રાર્થના કરશે કે શ્રીલંકા આ ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ ના કરે. જો કે, શ્રીલંકા માટે ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર હરાવવું આસાન નથી, પરંતુ શ્રીલંકાએ જે રીતે શરૂઆતના બે દિવસમાં રમત બતાવી છે તેને જોતા કહી શકાય કે આ ટીમ ન્યૂઝીલેન્ડમાં જીતના ઈરાદાથી આવી છે.


પ્રથમ ટેસ્ટની સ્થિતિ કેવી છે?


શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીના ત્રીજા દિવસના અંત સુધીમાં શ્રીલંકાની ટીમે કીવી ટીમ પર 65 રનની સરસાઈ મેળવી લીધી છે અને તેની ત્રણ વિકેટ પડી ગઈ છે. શ્રીલંકાના ત્રણેય ટોપ ઓર્ડર બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. અહીં જો શ્રીલંકા ચોથા દિવસે 200થી વધુ રન બનાવવામાં સફળ રહે છે તો ન્યૂઝીલેન્ડ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.


ઉલ્લેખનીય છે કે આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શ્રીલંકાએ 355 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે ડેરીલ મિશેલની શાનદાર સદી અને મેટ હેનરીની 72 રનની ઇનિંગને કારણે 373 રન પર ઇનિંગ્સ પૂરી કરી હતી. આ રીતે પ્રથમ દાવના આધારે કિવી ટીમને 18 રનની લીડ મળી હતી. અહીં ત્રીજા દિવસની રમત પૂરી થવા સુધી શ્રીલંકાએ બીજા દાવમાં 85 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.