દુબઈઃ મુંબઈ ઇન્ડિયન્સના તાબડતોડ બેટ્સમેન સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ ન કરવા પર હવે સવાલ ઉઠી રહ્યા છે. હરભજન સિંહ બાદ ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન દિલીપ વેંગસરકરે સૂર્યકુમારને ટીમમાં સામેલ ન કરવા પર અવાજ ઉઠાવ્યો છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ સીલેક્ટર્સ દિલીપ વેંગસરકેર બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને સીલેક્ટર્સને આ મામલે સવાલ કરવા માટે કહ્યું છે.


આઈપીએલ 2020માં સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આ સીઝનની 12 મેચમાં તેણે 40.22ની સરેરાશ અને 155.36ની સ્ટ્રાઇક રેટથી 362 રન બનાવ્યા છે. ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહેલ યાદવને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે સીલેક્ટ થવાનું લગભગ નક્કી હતુ પરંતુ તેને અંતમાં સ્થાન ન મળ્યું. યાદવે વર્ષ 2018થી આઈપીએલમાં 42 મેચમાં 1298 રન બનાવ્યા છે.

ભારતના પ્રતિભાશાળી બેટ્સમોનોમાંથી એક છે સૂર્યકુમાર યાદવ

ટેસ્ટ ક્રિકેટમાં 16 સેન્ચુરી ફટકારના દિલીપ વેંગસરકરે કહ્યું કે, “હું તેને ટીમમાં સામેલ ન કરવાથી નિરાશ છું જે હાલમાં દેશના સૌથી પ્રતિભાશાળી બેટ્સમેનોમાંથી એક છે. જ્યાં સુધી ક્ષમતાનો સવાલ છે તો હું સૂર્યકુમારની તુલના ભારતીય ટીમના સૌથી સારા ખેલાડીની સાથે કરી શકુ છું. તેમણે સતત રન બનાવ્યા છે અને મને નથી ખબર પડતી કે તેને ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે હજુ શું કરવું જોઈએ.”

તેમણે આગળ કહ્યું કે, “એક બેટ્સમેન પોતાની કારકિર્દીના પીક પર 26થી 34 વર્ષની ઉંમર દરમિયાન હોય છે અને મને લાગે છે કે સૂર્ય હાલમાં 30 વર્ષનો છે. જો ફોર્મ અને ફિટનેસ માપદંડ ન હોય તો પછી આ શું છે, શું કોઈ સમજાવી શકે. જો રોહિત શર્મા ઇજાને કારણે ટીમમાંથી બહાર છે તો પછી મિડલ ઓર્ડરને મજબૂતી આપવા માટે સૂર્યકુમાર યાદવ ટીમમાં હોવા જોઈએ. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ તેને ડ્રોપ કરવા પાછળનો ઉદ્દેશ પર સવાલ ઉઠાવવા જોઈએ.”