મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની સીઝન 2020 પતી ગઈ છે અને IPL 2020નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સે પોતાના નામે કરીને પાંચમી વાર ટાઈટલ જીત્યું છે. આ સીઝનની સમાપ્તિ સાથે હવે ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી એપ્રિલ-મે મહિનામાં ફરી આઈપીએલના આયોજનની તૈયારી શરૂ કરી છે. આ વખતે ભારતમાં જ આઈપીએલ એવા અહેવાલ છે.


ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર એ છે કે, આ નવી ટીમ ગુજરાતની હશે. મોટા ભાગે અમદાવાદની ટીમ આઈપીએલમાં ઉતરશે. બીજી તરફ સાઉથનો સુપર સ્ટાર મોહનલાલ પણ પોતાની ટીમ આઈપીએલમાં ઉતારવા વિચારી રહ્યો છે. મોહન લાલે દુબઈમાં આઈપીએલ ફાઈનલમાં હાજરી આપી તેના કારણે આ અટકળો તેજ બની છે. મોહન લાલે સૌરવ ગાંગુલી સહિતના બોર્ડના હોદ્દેદારો સાથે આ મુદ્દે ચર્ચા કરી છે. મોહનલાલ ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલ બીવાયજેયુએસ પણ પોતાની ટીમ ઉતારવા મેદાનમાં છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCI આગામી વર્ષે IPLમાં વધુ એક ટીમ રમાડવા અંગે વિચાર કરી રહી છે અને આ ટીમ ગુજરાતની હશે. તેના કારણે આઈપીએલની હરાજીમાં પણ ફેરફાર થષે.  સામાન્ય રીતે IPLની ઓક્શન ડિસેમ્બરમાં યોજાય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે હરાજી2021ની શરૂઆતમાં યોજાશે.


ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ હાલમાં જ જાહેરાત કરી છે કે, બોર્ડ આઈપીએલની આગામી સિઝન ભારતમાં યોજવાનો પૂરો પ્રયાસ કરશે.તેમણે તે પણ સ્પષ્ટ કર્યું કે, ભારતમાં આઈપીએલ નહીં યોજી શકાય તો  યુએઈ  બેકઅપ વિકલ્પ રહેશે.


આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગના પગલે ચેન્નાઈ  સુપરકિંગ્ઝ અને રાજસ્થાન રોયલ્સ પર પ્રતિબંધ લાગ્યા દરમિયાન ગુજરાતની ટીમે IPLમાં ભાગ લીધો હતો. આ ટીમનો કેપ્ટન સુરેશ રૈના હતા. 2016માં આ ટીમ પોઈન્ટ ટેબલમાં ટૉપ પર રહ્યા પછી ક્વોલિફાયર-2 સુધી પહોંચી હતી જ્યારે 2017માં સાતમા સ્થાને રહી હતી.