નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન માટે 18 ફેબ્રુઆરીએ ખેલાડીઓની હરાજી થવાની છે. આ વર્ષે હરાજી માટે 1114 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, બીસીસીઆઇ તરફથી જાહેર કરાયેલા લિસ્ટમાં માત્ર 292 ખેલાડીઓને જ બોલી માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. સાત વર્ષના લાંબા અંતરાલ બાદ ક્રિકેટમાં વાપસી કરનારા એસ શ્રીસંતને હરાજીમાં સામેલ નથી કરવામાં આવ્યો. જેથી હવે વર્ષ 2021ની આઇપીએલમાં શ્રીસંત નહીં રમી શકે.


સ્પૉટ ફિક્સિંગમાં સાત વર્ષની સજા ભોગવનારા શ્રીસંતે તાજેતરમાંજ સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી દ્વારા ક્રિકેટમાં વાપસી કરી છે, મુસ્તાક અલી ટ્રૉફીમાં શ્રીસંતને કેરાલાની ટીમમાં જગ્યા મળી હતી. શ્રીસંતે આ વર્ષે હરાજી માટે રજિસ્ટર કરાવ્યુ હતુ. પરંતુ હવે શ્રીસંતની વાપસીની આશા પર મોટો ઝટકો લાગ્યો છે.

શ્રીસંતની આઇપીએલ કેરિયર....
શ્રીસંતે આઈપીએલમાં 44 મેચ રમી છે જેમાં 40 વિકેટ ઝડપી છે. એસ શ્રીસંતે 9 મે 2013માં કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ પોતાની છેલ્લી મેચ રમી હતી.