Rishabh Pant Dinesh Karthik Kapil Dev Team India T20 World Cup 2022: ભારતે ટી20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી રમેલી બે મેચોમાં જીત મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ત્યાર બાદ બીજી મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. ભારતે આ બંને મેચોમાં ઋષભ પંતને પ્લેઈંગ 11માં સ્થાન આપ્યું નહોતું. પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું હતું. ત્યારે હવે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું કહેવું છે કે, દિનેશ કાર્તિકની જગ્યાએ ઋષભ પંતને મોકો મળવો જોઈએ.


કપિલ દેવે શું કહ્યું?


ઉલ્લેખનીય છે કે, દિનેશ કાર્તિક અનુભવી બેટ્સમેન છે અને તે સારો ફિનીશર પણ છે. જો કે, આમ છતાં કપિલ દેવનું કહેવું છે કે, પંતને પ્લેઈંગ 11માં લેવો જોઈએ. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત થયેલી એક રિપોર્ટ મુજબ કપિલ દેવે કહ્યું છે કે, "હું કહેવા માંગીશ કે, હવે આપણી પાસે ઋષભ પંત છે, આ એ જ સમય છે જ્યારે ભારતને તેની જરુર છે. એવું લાગે છે કે, દિનેશ કાર્તિકે પોતાનું કામ કર્યું છે. પરંતુ વિકેટકીપિંગને પણ ધ્યાનમાં રાખતાં મને એવું લાગે છે કે, ઋષભ પંત ડાબા હાથના બેટ્સમેન માટે સારો વિકલ્પ છે."


કપિલ દેવે પંતની બેટિંગની પ્રસંશા કરતાં કહ્યું કે, "તે ખુબ જ સારો ખેલાડી છે. જો તમે તેની બેટિંગ જોશો તો તે રન બનાવા માટે સ્ટ્રગલ કરતો નહી જોવા મળે. હું ઈચ્ચું છું કે, તે વધારેમાં વધારે રન બનાવે. એ ખુબ જ જરુરી છે. પંત શરુઆતમાં ટાઈમ લે છે, પરંતુ તેની પછી ખુબ જ સરળતાથી રન બનાવી લે છે."


ઋષભ પંતનું T20 અને વનડેમાં પ્રદર્શનઃ


અહીં તમને જણાવી દઈએ કે, ઋષભ પંતે અત્યાર સુધીમાં 62 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ દરમિયાન તેણે 961 રન બનાવ્યા છે. સાથે જ પંતે આ ફોર્મેટમાં 3 અર્ધશતક ફટકાર્યા છે. ઋષભ પંતનો ટી20 ફોર્મેટમાં સૌથી શ્રેષ્ઠ સ્કોર અણનમ 65 રન છે. આ સાથે ઋષભે 27 વન ડે મેચોમાં 840 રન બનાવ્યા છે. પંત વનડેમાં એક શતક અને 5 અર્ધશતક ફટકારી ચુક્યો છે. વનડેમાં પંતને સર્વશ્રેષ્ઠ સ્કોર 125 રન છે.