નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ આ દરમિયાન ડેલ્ટા પ્લસ વેરિયંટે (Delta Plus Varinat) ચિંતા વધારી દીધી છે. જેને લઈ થોડા મહિના બાદ ભારતમાં યોજાનારા આઈસીસી ટી-20 વર્લ્ડકપના (ICC T20 World Cup) આયોજન પર પણ કાળા વાદળ છવાયા હતા. હવે સત્તાવાર રીતે  ટી-20 વર્લ્ડકપ દુબઈમાં ખસેડવામાં આવ્યો હોવાની જાહેરાત ખુદ બીસીસીઆઈ (BCCI Secretary) સેક્રેટરી જય શાહે (Jay Shah) કરી છે. તેમણે કહ્યું કે, અમે આઈસીસીને આજે જાણકારી આપીશું કે ટી-20 ક્રિકેટ વર્લ્ડકપને યુએઈ શિફ્ટ કરી રહ્યા છીએ. તારીખોની જાહેરાત આઈસીસી (ICC) કરશે.






BCCIના વાઇસ પ્રેસિડેંટે શું કહ્યું


ટુર્નામેન્ટને દુબઈમાં ખસેડવાને લઈ બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેંટ રાજીવ શુક્લાએ કહ્યું, ટી-20 વર્લ્ડકપને લઈ અમારો શું નિર્ણય છે તે અંગે આઈસીસીને જાણ કરવા આજે ડેડલાઇન હતી. આજે બીસીસીઆઈના અધિકારીઓની કોન્ફરન્સ મીટિંગ મળી હતી અને તેમાં કોરોનાની સ્થિતિને લઈ ટુર્નામેન્ટને દુબઈમાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો. અમે તેને ભારતમાં રમાડવા ઈચ્છતા હતા અને અમારી પ્રાથમિકતા પણ ભારત હતી. બધી બાબતોને ધ્યાનમાં રાખી અમે આઈસીસીને આ ટુર્નામેન્ટ યુએઈ ખસેડી રહ્યા હોવાનું જણાવીશું. ભારત પછી મેચના આયોજન માટે સારું કોઈ સ્થળ હોઈ શકે નહી. તેમણે એમ પણ કહ્યું કે, તારીખોમાં કોઈ ફેરફાર નહીં થાય, આઈપીએલ પૂરી થયા બાદ તરત જ તેની શરૂઆત થશે.  ક્વોલિફાયર્સ ઓમાનમાં રમાશે અને બાકીની અન્ય મેચો દુબઈ, અબુ ધાબી અને શારજહામાં રમાશે.


 


ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં આ ટીમો પણ ભાગ લેશે


કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રથમ રાઉન્ડમાં ૧૨ મેચો રમાશે. જેમાં આઠ ટીમો ભાગ લેશે. જેમાં બંને ગ્રુપમાં ટોચના બે સ્થાન પર રહેનારી ચાર ટીમો સુપર-૧૨માં ક્વોલિફાય થશે. ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન, પાપુઆ ન્યુ ગિની જેવા દેશો ભાગ લેશે. તેઓ રેન્કિંગમાં ટોચના આઠ સ્થાન પર રહેલી ટીમોની સાથે સુપર-૧૨માં જોડાશે.


સુપર-૧૨માં કુલ ૩૦ મેચો રમાશે


ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદ ખરાખરીનો મુકાબલો શરૃ થશે. જેમાં ટોચની આઠ ટીમો અને ક્વોલિફાયર થયેલી ચાર ટીમો એમ કુલ ૧૨ ટીમો હશે. આ ટીમો વચ્ચે કુલ ૩૦ મુકાબલા ખેલાશે. જેનો પ્રારંભ તારીખ ૨૪મી ઓક્ટોબરથી થશે. આઇસીસી સુપર-૧૨માં પ્રવેશેલી ટીમોને છ-છના બે ગૂ્રપમાં વહેંચી નાખશે. આ ટીમો યુએઈ, અબુ ધાબી અને શારજાહમાં ગૂ્રપ સ્ટેજના મુકાબલા રમશે. જે પછી બે સેમિ ફાઇનલ અને ફાઈનલનું આયોજન થશે.


વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા તૈયાર


તાજેતરમાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની નજર ટી-20 વર્લ્ડકપ જીતવા પર છે. છેલ્લા થોડા વર્ષોથી ભારત આઈસીસીની મોટી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. આ સ્થિતિમાં ભારત ટી-20 વર્લ્ડકપ જીતવા તમામ તાકાત લગાવી દેશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં મેદાન પર ઉતરશે.