રોહિતે જ્યારે યુવરાજને પૂછ્યું કે, 2007 ટી-20 વર્લ્ડકપ અને 2011નો વન ડે વર્લ્ડકપ જીતનારી ટીમ અને હાલની ટીમમાં શું અંતર છે? જેના જવાબમાં યુવરાજે કહ્યું, અમારી ટીમ અને હાલની ટીમમાં ઘણો ફર્ક છે. અમારા સમયમાં સીનિયર ખેલાડીઓ ઘણા અનુશાસનમાં રહેતા હતા. સોશિયલ મીડિયા પણ નહોતું તેથી ભટકવાનો કોઈ સવાલ જ નહોતો. હાલ સીનિયરો પ્રત્યે સન્માન ઘણું ઘટી ગયું છે.
તેણે એમ પણ કહ્યું કે, અમે અમારા સીનિયર ખેલાડીઓ મીડિયામાં કઈ રીતે વાત કરે છે તે જોતા અને બાદમાં અમે બોલતા હતા. તેઓ આગળ આવીને નેતૃત્વ કરતા હતા. જેમની પાસેથી અમે આ શીખ્યા અને તમને લોકોને પણ જણાવ્યું.
યુવરાજ સિંહે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલના કોફી વિથ કરણ શો પર થયેલા વિવાદનો ઉલ્લેખ કરી કહ્યું, રાહુલ અને હાર્દિકનો મામલો લઇ લો. અમે વિચાર્યુ પણ નહોતું કે આવું થશે. આ તેમની પણ ભૂલ છે. આઈપીએલના કોન્ટ્રાક્ટ ઘણા લાંબા હોય છે. ખેલાડીઓ ભારત તરફથી રમતા નથી હોતા તો પણ ઘણા રૂપિયા કમાય છે.
યુવરાજે કહ્યું, તમારે માર્ગદર્શન માટે સીનિયરનો સાથ જોઈએ. સચિન મને હંમેશા કહેતો કે જો તમે મેદાન પર સારું કરશો તો બધુ સારું થશે. હું એનસીએમાં હતો અને જોયું ખેલાડીઓ ટેસ્ટ મેચ રમવા નથી ઈચ્છતા. આજની પેઢી ટેસ્ટ મેચ રમવા નથી પરંતુ તે જ ક્રિકેટરોનો અસલી ટેસ્ટ છે.