Team India Salary: ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ ટેસ્ટ અને ડૉમેસ્ટિક સીરીઝને બદલે ઈન્ડિયન પ્રીમિયર લીગ પર વધુ ધ્યાન આપે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર આ આરોપ ઘણી વખત લગાવવામાં આવ્યો છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટેસ્ટ ફોર્મેટને પ્રોત્સાહન આપવા માટે મોટું પગલું ભરી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો BCCI ટેસ્ટ મેચ રમી રહેલા ખેલાડીઓના પગારમાં વધારો કરી શકે છે. આ સાથે તમામ સીરીઝમાં રમનારા ખેલાડીઓને બોનસ પણ મળી શકે છે.


ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર અનુસાર, BCCI IPL 2024 પછી ટેસ્ટ ખેલાડીઓની સેલરી વધારી શકે છે. BCCI દરેક ટેસ્ટ સીરીઝમાં રમનારા ખેલાડીઓને બોનસ પણ આપી શકે છે. બોર્ડ મહત્વના કારણસર આ ફેરફાર કરવા માંગે છે. IPLમાં ફિટ રહેવા માટે ઘણા ખેલાડીઓ રણજી ટ્રોફી અને ડોમેસ્ટિક મેચો છોડી રહ્યા છે. હાલમાં જ ઈશાન કિશન આને લઈને ચર્ચામાં હતો. અહેવાલો અનુસાર, બીસીસીઆઈની વિનંતી છતાં ઈશાન ઝારખંડ માટે મેચ રમ્યો ના હતો. શ્રેયસ અય્યર પણ રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ છોડી દીધી હતી. 


BCCI હાલમાં એક ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને 15 લાખ રૂપિયા આપે છે. 2016માં તેમનો પગાર બમણો કરવામાં આવ્યો હતો. જ્યારે ખેલાડીઓને એક ODI મેચ માટે 6 લાખ રૂપિયા મળે છે. ટી-20 મેચ માટે ખેલાડીઓને 3 લાખ રૂપિયા પગાર મળે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને તેમના ગ્રેડ પ્રમાણે વાર્ષિક પગાર પણ આપવામાં આવે છે. ખેલાડીઓનો બોર્ડ સાથે કરાર છે.


તમને જણાવી દઈએ કે આઈપીએલ પછી ખેલાડીઓનો પગાર વધી શકે છે. ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. ભારતે આ સીરીઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ 28 રને જીતી હતી. આ પછી ભારતે સતત ત્રણ મેચ જીતી હતી.


 


રોહિત શર્માનો કેપ્ટનશીપ રેકોર્ડ સૌથી બેસ્ટ, જીતની ટકાવારી જોઇને ઉડી જશે હોશ


ભારતીય કેપ્ટન રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. જો આપણે કેપ્ટન તરીકે જીતની ટકાવારીના આંકડાઓ પર નજર કરીએ તો આ સ્પષ્ટ થાય છે. રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાને 73.45% મેચોમાં જીત અપાવી છે. અન્ય કોઈ કેપ્ટન તેના રેકોર્ડની બરાબરી કરી શકતો નથી. જો આપણે 100+ આંતરરાષ્ટ્રીય મેચોમાં કેપ્ટનશિપ કરનાર ક્રિકેટરોની જીતની ટકાવારી જોઈએ તો રોહિત ટોચ પર જોવા મળે છે. રોહિતે અત્યાર સુધી 113 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. અહીં તેણે પોતાની ટીમને 83 મેચમાં જીત અપાવી હતી. તેની કેપ્ટનશીપમાં ભારતને માત્ર 26 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે કેપ્ટન તરીકે પોતાની ટીમને જીત અપાવવાની રોહિતની ટકાવારી 73.45% હતી. આ બાબતમાં તે માત્ર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને એમએમ ધોનીથી આગળ નથી નીકળી ગયો, પરંતુ વિશ્વના દિગ્ગજ કેપ્ટન પણ તેના આંકડાની નજીક ક્યાંય નથી.


મહાન કેપ્ટન રિકી પોન્ટિંગથી પણ આગળ નીકળ્યો 
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે તેની કેપ્ટનશીપમાં કાંગારૂ ટીમને 324માંથી 220 મેચ જીતાડી, પરંતુ કેપ્ટન તરીકે પોન્ટિંગની જીતની ટકાવારી માત્ર 67.9 રહી. રોહિત હવે આ મામલે ઘણો આગળ નીકળી ગયો છે. વળી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે. તેણે 332 મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી પરંતુ તે માત્ર 178 મેચમાં જ ટીમને જીત અપાવી શક્યો હતો. એટલે કે ધોનીની જીતની ટકાવારી 53.61 હતી.


વિરાટ પણ પાછળ 
રોહિત શર્માને વર્ષ 2022માં વિરાટ કોહલીની જગ્યાએ ટીમ ઈન્ડિયાનો કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી તે ભારતમાં ખાસ કરીને કોઈ સિરીઝ હારી નથી. તેણે વિરાટ કોહલીના કેપ્ટનશિપના રેકોર્ડને પણ ઘણો પાછળ છોડી દીધો છે. કોહલીએ 213 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી અને તેમાંથી 135 મેચ જીતી. અહીં તેની જીતની ટકાવારી 63.38 હતી.