દુબઈ: રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે રમાયેલી IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 20 ઓવરમાં 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ બેટ્સમેનોના ફ્લોપ શોને કારણે મુંબઈની ટીમ માત્ર 136 રન બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 4 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. સૌરભ તિવારી (50) સિવાય કોઈ પણ બેટ્સમેન મુંબઈ ઈન્ડિયન્સ માટે 20 રનનો આંકડો પણ પાર કરી શક્યો ન હતો.


મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં રમી રહ્યો ન હતો, તેથી જીતની જવાબદારી નંબર 3 ના બેટ્સમેન સૂર્યકુમાર યાદવના ખભા પર હતી. સૂર્યકુમાર યાદવ આ મેચમાં કંઇ ખાસ કરી શક્યો નહીં અને 3 રન બનાવીને આઉટ થઇ ગયો. સૂર્યકુમાર યાદવ આઉટ થતાં જ મુંબઈ ઇન્ડિયન્સની આખી બેટિંગ લાઈન ધ્વસ્ત થઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે 94 રનના સ્કોર પર પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી.


મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનો ઘુંટણીયે


જો સૂર્યકુમાર યાદવ ટકી ગયો હોત તો મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ આટલી ખરાબ રીતે ઘૂંટણિયે ન પડી હોત. સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સની હારનો વિલન બન્યો. મુંબઈ ઈન્ડિયન્સની હાર બાદ તેના ચાહકો નિરાશ છે. શ્રેયસ અય્યર જેવા પ્રતિભાશાળી બેટ્સમેનને બદલે સૂર્યકુમાર યાદવને ટી20 વર્લ્ડ કપમાં ટોચના 15 ખેલાડીઓમાં પસંદગીકારો દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે શ્રેયસ અય્યરને અનામત ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો, જો કોઈ ખેલાડી ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જાય તો શ્રેયસ અય્યરને તક મળે તે શક્ય છે.


જો સૂર્યકુમાર યાદવ આ જ રીતે ટી20 વર્લ્ડકપમાં ફ્લોપ સાબિત થાય તો ટીમ ઈન્ડિયાને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે, કારણ કે તેની જગ્યાએ જે બેટ્સમેન પસંદ થયો છે તે પણ ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મર્યાદિત ઓવરોની શ્રેણી દરમિયાન શ્રેયસ અય્યરને ખભામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેણે સર્જરી કરાવી હતી અને કેટલાક મહિનાઓ સુધી મેદાનની બહાર હતો.


આઈપીએલની કેપ્ટનશિપ પણ ગઈ


શ્રેયસ અય્યર હાલમાં યુએઈમાં છે અને આઈપીએલ 2021ની તૈયારી કરી રહ્યો છે. આ આઈપીએલ સિઝનમાં શ્રેયસ અય્યરની જગ્યાએ દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આઈપીએલના પ્રથમ તબક્કામાં 8 મેચોમાં 6 જીત સાથે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.