વેલિંગ્ટનઃ બેસિન રિઝર્વ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમના કારમી હાર થઇ છે, કિવી ટીમે ટીમ ઇન્ડિયાને માત્ર સાડા ત્રણ દિવસમાં જ માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. વિરાટ કોહલીની આગેવાની વાળી આ ટીમને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાદ કોહલીએ મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે.


આ ખરાબ હાર બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, અમે આ મેચમાં બિલકુલ લડાઇ ના કરી શક્યા. જો અમે કિવી ટીમની સામે 220-230નો ટાર્ગેટ મુકતા તો સારુ રહેતુ. કોહલીએ કહ્યું કે, ભારતીયી ટીમ બીજી ટેસ્ટમાં સારુ પ્રદર્શન કરશે.

કોહલીએ વધુમાં કહ્યું કે, બૉલિંગમાં અમે સારુ પ્રદર્શન કર્યુ, કિવી ટીમના છેલ્લા ત્રણ ખેલાડીઓ 120 રન બનાવી ગયા તેનાથી અમે મેચની બહાર થઇ ગયા. અમારે થોડી વધુ મહેનત કરીને રમવાની જરૂર હતી.



ઉલ્લેખનીય છે કે, ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 165 રન અને બીજી ઇનિંગમાં 191 રન બનાવી શકી હતી. જ્યારે કિવી ટીમે પ્રથમ ઇનિંગમાં 348 અને અને બીજી ઇનિંગમાં જીતવા માટેનો ટાર્ગેટ 9 રન બનાવીને મેચ જીતી લીધી હતી.



ભારત તરફથી બૉલિંગમાં માત્ર ઇશાંત શર્માએ પહેલી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિને 3 અને બુમરાહ-શમીએ 1-1 વિકેટ ઝડપી હતી.

કિવી ટીમ તરફથી ફાસ્ટ બૉલર ટિમ સાઉથી 5 વિકેટ અને ટ્રેન્ટ બૉલ્ટે 4 વિકેટ લઇને કેર વર્તાવ્યો હતો. ભારતીય ટીમ કિવી બૉલરો સામે ઘૂંટણીયે પડી ગઇ અને અંતે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.