Manav Suthar India Test debut: IPL 2026 પૂરી થયા બાદ હવે ટીમ ઈન્ડિયા ફરી એકવાર રેડ-બોલ ક્રિકેટના મેદાનમાં ઉતરવા જઈ રહી છે. BCCI એ અફઘાનિસ્તાન સામે 6 થી 10 જૂન દરમિયાન ચંદીગઢમાં રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. શુભમન ગિલની કેપ્ટન્સીમાં જાહેર કરાયેલી આ ટીમમાં ત્રણ નવા ચહેરાઓને તક મળી છે, જેમાં સૌથી વધુ ચર્ચા 23 વર્ષીય યુવા ડાબોડી સ્પિનર અને ઓલરાઉન્ડર 'માનવ સુથાર' ની થઈ રહી છે. રવિન્દ્ર જાડેજાના વિકલ્પ તરીકે ટીમમાં સ્થાન મેળવનાર માનવ સુથાર આખરે કોણ છે અને તેણે ટીમ ઈન્ડિયા સુધીની સફર કેવી રીતે કાપી, ચાલો જાણીએ.
કોણ છે માનવ સુથાર?
3 ઓગસ્ટ 2002 ના રોજ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જન્મેલા માનવ સુથારના પિતા જગદીશ સુથાર પણ એક સમયે ક્રિકેટર બનવાનું સપનું જોતા હતા, પરંતુ તેઓ આગળ વધી શક્યા નહીં. જ્યારે માનવ 11 વર્ષનો થયો ત્યારે પિતાએ તેને ક્રિકેટ એકેડેમીમાં મૂક્યો. પિતા ઈચ્છતા હતા કે દીકરો બેટ્સમેન બને, પરંતુ કોચે માનવની રમત જોઈને સ્પષ્ટ કહી દીધું કે આ છોકરો જબરદસ્ત બોલિંગ માટે જ જન્મ્યો છે!
રોહિત અને વિરાટ પણ થઈ ગયા હતા ઈમ્પ્રેસ
માનવ સુથાર પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 2023 ના વનડે વર્લ્ડ કપ પહેલા તેને બેંગલુરુના પ્રેક્ટિસ કેમ્પમાં 'નેટ બોલર' તરીકે બોલાવવામાં આવ્યો. ત્યાં પ્રેક્ટિસ દરમિયાન તેણે પોતાની શાનદાર સ્પિન બોલિંગથી રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પણ ભારે પરેશાન કર્યા હતા. ત્યારથી જ પસંદગીકારોની નજર તેના પર મંડાયેલી હતી.
આ પણ વાંચોઃ મુંબઈને ડબલ ઝટકો: પ્લેઓફની રેસ બાદ હવે આ બે ખેલાડી ટીમમાંથી થયા બહાર, જાણો કારણ
શાનદાર ફર્સ્ટ-ક્લાસ અને IPL કરિયર
માનવે 2021-22 ની રણજી ટ્રોફી સિઝનથી રાજસ્થાન માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.
શરૂઆતમાં ધીમી શરૂઆત બાદ તેણે જબરદસ્ત વાપસી કરી. 2022 માં પુડુચેરી સામેની એક ફર્સ્ટ-ક્લાસ મેચમાં તેણે એકસાથે 11 વિકેટો લઈને તબાહી મચાવી હતી.
2025-26 ની રણજી ટ્રોફીમાં તેણે માત્ર 5 ઇનિંગ્સમાં જ 18 વિકેટ ઝડપી લીધી હતી. આ ઉપરાંત તેણે હિમાચલ પ્રદેશ સામે બેટિંગમાં કમાલ કરતા પોતાની પ્રથમ ફર્સ્ટ-ક્લાસ સદી પણ ફટકારી હતી.
તેની 29 મેચની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીમાં તેણે 129 વિકેટ ઝડપી છે, જેમાં 6 વખત 5 વિકેટ અને 3 વખત મેચમાં 10 વિકેટ લેવાનું કારનામું સામેલ છે. બેટિંગમાં પણ તેણે 945 રન (1 સદી અને 6 અડધી સદી) બનાવ્યા છે.
IPL ની સફર: માનવ 2024 થી IPL માં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયેલો છે. જોકે, તેને બહુ ઓછી તકો મળી છે. 2024 માં તે 1 મેચ રમ્યો, 2025 માં આખી સિઝન બેન્ચ પર બેઠો અને 2026 માં ગુજરાતે તેને 30 લાખ રૂપિયામાં રિટેન કર્યો, જ્યાં તેણે 4 મેચમાં 2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચોઃ જો આજે LSG સામે હારશે તો શું રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાંથી બહાર થશે? સમજો સમીકરણ
સંઘર્ષ અને વાપસી
માનવની સફર સહેલી નહોતી. ગુજરાત ટાઇટન્સમાં લાંબો સમય બેન્ચ પર બેઠા પછી, ઈન્ડિયા A અને દુલીપ ટ્રોફીમાં પણ તેને ઘણી વખત નજરઅંદાજ કરવામાં આવ્યો. પણ માનવે હાર ન માની. ગયા વર્ષે જ્યારે તેને ઓસ્ટ્રેલિયા A સામેની બીજી ટેસ્ટમાં તક મળી, ત્યારે તેણે સીધી 5 વિકેટ લઈને સાબિત કરી દીધું કે તે લાંબી રેસનો ઘોડો છે, અને આખરે આજે તે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવા તૈયાર છે.
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (ઉપ-કેપ્ટન), સાઈ સુદર્શન, ઋષભ પંત, દેવદત્ત પડિકલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, માનવ સુથાર, ગુરનુર બ્રાર, હર્ષ દુબે અને ધ્રુવ જુરેલ.
