સાઉથમ્પટનઃ ભારત અને ન્યૂઝિલેન્ડ (India vs New Zealand) વચ્ચે તારીખ ૧૮મી જુનથી ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (IND vs NZ WTC Final) રમાશે. ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલનું આયોજન પહેલા ક્રિકેટના મક્કા કહેવાતા ઐતિહાસક લોર્ડ્સમાં (Lords) થવાનું હતું પરંતુ કોરના વાયરસના (Coronavirus) ખતરાને જોતા તેને સાઉથમ્પટનમાં ખસેડવામાં આવી હતી.


આ મહામુકાબલા પહેલા ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાણકારી આપી છે કે આ મુકાબલાનો આનંદ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પરથી પણ ઉઠાવી શકાશે. આ ઉપરાંત આકાશવાણી પરથી પણ કોમેન્ટ્રીનો આનંદ માણી શકાશે. ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાશે.




કેટલા વાગે થશે ટોસ


ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ડબલ્યુટીસી ફાઈનલ (WTC Final) સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે ટોસ થશે અને 3.30 કલાકથી મેચ શરૂ થશે.


ક્યાં જોઈ શકાશે લાઇવ ટેલિકાસ્ટ


ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD, Star Sports 1 Telugu, Star Sports 1 Tamil અને Star Sports 1 Kannada ચેનલ પરથી થશે. જ્યારે લાઇવ સ્ટ્રીમિગ ડિઝ્ની હોટસ્ટાર પર જોઈ શકાશે.




રોહિત શર્મા અને શુબમન ગિલની જોડી ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓપનિંગ કરશે તે નક્કી મનાય છે. વન ડાઉનમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા, ચોથા ક્રમે કેપ્ટન કોહલી, પાંચમા ક્રમે અજિંક્ય રહાણે, છઠ્ઠા ક્રમે રિષભ પંત, સાતમા ક્રમે રવિન્દ્ર જાડેજા, આઠમા ક્રમે અશ્વિન, નવમા ક્રમે ઈશાંત શર્મા, દસમા ક્રમે મોહમ્મદ શમી અને અગિયારમા ક્રમે જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવી શકે છે.


જો ભારત વધારાના બેટ્સમેન કે બોલર તરીકે રમવાનું વિચારે તો જાડેજા અથવા અશ્વિનના સ્થાને હનુમા વિહારી કે મોહમ્મદ સિરાજને તક મળી શકે છે.  કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડને પરેશાન કરવા માટે બંને સ્પિનરોને સમાવીને સરપ્રાઈઝ આપે તેવી શક્યતા પણ છે.


ભારત કેમ બે સ્પિનર્સ સાથે ઉતરી શકે છે


સાઉથમ્પ્ટનમાં જબરજસ્ત ગરમી પડી રહી છે અને આ કારણે પીચ ધીમે ધીમે સુકાઈ જશે અને સ્પિનરોને મદદ મળશે. ભારત પરિસ્થિતિને જોતા અશ્વિન અને જાડેજા, એમ બંને સ્પિનરોને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરશે તેમ લેજન્ડરી ક્રિકેટર સુનિલ ગાવસ્કરે જણાવ્યું હતુ. તેમણે એમ પણ કહ્યું અશ્વિન અને જાડેજા માત્ર સ્પિનર્સ નથી. તેઓ ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભા પુરવાર કરી ચૂક્યા છે. બંનેની હાજરીને કારણે ભારતની બેટીંગ લાઈનઅપ મજબુત બનશે. તેની સાથે સાથે બોલિંગ આક્રમણ પણ વધુ ધારદાર બનશે. ન્યૂઝિલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી રમાશે, ત્યારે પણ ટીમ કોમ્બિનેશન વાતાવરણ અને પીચની સ્થિતિને આધારે નક્કી થશે.


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન


રોહિત શર્મા, શુબ્મન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે (વાઈસ કેપ્ટન),  રિષભ પંત (વિ.કી.), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રી બુમરાહ,  ઈશાંત શર્મા,  મોહમ્મદ શમી