નવી દિલ્હીઃ ભારતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (ICC World Test Championship) ફાઈનલ માટે ૧૫ સભ્યોની ટીમની (Team India) જાહેરાત કરી દીધી છે. જેમાં કોહલી (Virat KOhli), શમી જેવા ધૂરંધરોની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ કરનારા શાર્દૂલ ઠાકુર (Shardul Thakur)ને સ્થાન આપવામાં આવ્ચું નથી. જેમાં અશ્વિન અને જાડેજાની સ્પિન જોડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડને પરેશાન કરવા માટે બંને સ્પિનરોને સમાવીને સરપ્રાઈઝ આપે તેવી શક્યતા પણ છે.


બીસીસીઆઇએ ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરતાં ઓપનિંગ જોડી અંગેના સસ્પેન્સનો અંત આવી ગયો છે. રોહિત શર્મા અને શુબમન ગિલની જોડી ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓપનિંગ કરશે તે નક્કી મનાય છે. વિકેટકિપર તરીકે પંત અને સહા બંનેને ૧૫ ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે. જોકે પંતને પ્લેઈંગ ઈલેવનમાં સમાવાશે તે નક્કી મનાય છે. કેટલાક વિવેચકો એવી શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે, ભારત તેની બેટીંગ લાઈનઅપ મજબુત કરવા માટે જાડેજાને સ્થાને વિહારીને પ્લેઈંગ ઈલેવનમાં સમાવી શકે છે.


ભારતની ટીમ


રોહિત શર્મા, શુબ્મન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે (વાઈસ કેપ્ટન), વિહારી, પંત (વિ.કી.), સહા (વિ.કી.), અશ્વિન, જાડેજા, બુમરાહ, ઈશાંત, શમી, યાદવ, સિરાજ.


ન્યૂઝિલેન્ડે પટેલ સ્પિનરનો કર્યો સમાવેશ


ન્યૂઝિલેન્ડે ભારત સામેની આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ૧૫ ખેલાડીઓની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સાન્ટનેરને બદલે એજાઝ પટેલને સામેલ કર્યો છે. એજાઝે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો, જેના કારણે તેને ભારત સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેની ફાઈનલમાં તક આપવામાં આવી છે. વિલિયમસન હાથની ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની આખરી ટેસ્ટમાં રમી શક્યો નહતો. જે હવે ફિટનેસ મેળવવા તરફ છે તેમ ન્યૂઝિલેન્ડના કોચ ગેરી સ્ટેડે જણાવ્યું હતુ. મિચેલની સાથે બ્રેસવેલ, ડફી અને રવિન્દ્રાને ટીમમાં સ્થાન મળી શક્યું નહતુ. જ્યારે ઈજાગ્રસ્ત વેટલિંગ પણ ભારત સામેની મેચ અગાઉ ફિટનેસ મેળવી લેશે તે નક્કી મનાય છે.