Yashpal Sharma Death: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન થયું છે. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું છે. 11 ઓગસ્ટ 1954ના રોજ પંજાબના લુધિયાણામાં જન્મેલ યશપાલ શર્માએ 66 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. યશપાલ શર્મા ટીમ ઇન્ડિયાના સીલેક્ટર પણ રહી ચૂક્યા છે. જણાવીએ કે, યશપાલ શર્મા 1983માં વર્લ્ડકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય પણ હતા.


યશપાલ શર્માએ ભારત તરફથી કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 34ની સરેરાશથી 1606 રન બનાવ્યા હતા. તે જ સમયે,  કુલ 42 વનડે મેચમાં યશપાલ શર્માએ 883 રન બનાવ્યા હતા.


ટેસ્ટમાં યશપાલે બે સેન્ચુરી અને 9 હાફ સેન્ચુરી ફટકારી હતી. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોલ 140 રન હતો.


જ્યારે વનડેમાં યશપાલના નામે 4 હાફ સેન્ચુરી છે. જોકે તે વનેડમાં એક પણ સેન્ચુરી ફટકારી શક્યા ન હતા. વનડેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 89 રન છે.


વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સાથે રમનારા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મદનલાલે યશપાલના નિધન પર કહ્યું કે, ‘સાંભળીને સ્તબ્ધ થઇ ગયો છું અને વાત માનવા તૈયારી નથી કે તેમનુ નિધન થયુ છે. અમે રમતની શરૂઆત પંજાબથી કરી, પછી અમે વર્લ્ડ કપમાં સાથે રમ્યા.’ પૂર્વ કેપ્ટન કપિલ દેવ યશપાલ શર્માના અવસાન પર પોતાના આંસુ રોકી શક્યા ન હતા.


પંજાબ સ્કૂલ તરફથી રમતા, યશપાલ શર્માએ 260 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ તે સતત ચર્ચાઓમાં છવાયેલા રહેતા હતા.


1983 ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામેની જીત સાથે શરૂઆત કરી હતી. આ મેચમાં શર્માએ શાનદાર પરફોર્મન્સ કર્યું હતું. યશપાલ જ્યારે ક્રિઝ પર આવ્યા ત્યારે ભારતીય ટીમનો સ્કોર ત્રણ વિકેટ પર 76 રન હતો જે ટૂંક સમયમાં પાંચ વિકેટે 141 થઈ ગયો હતો.