Yuvraj Dhoni Friendship:  યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યુમાં મહેન્દ્ર સિંહ ધોની સાથેની મિત્રતા અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે તેની અને ધોની વચ્ચે ક્યારેય ગાઢ મિત્રતા નહોતી. તેણે એમ પણ કહ્યું કે તે અને ધોની મિત્રો હતા કારણ કે તેઓ સાથે ક્રિકેટ રમતા હતા પરંતુ ક્યારેય ગાઢ મિત્રો નહોતા. આ દરમિયાન યુવરાજે તેની ક્રિકેટ કારકિર્દીમાં ધોની સાથે વિતાવેલા લાંબા સમય વિશે પણ વિગતવાર વાત કરી.


ટીઆરએસ ક્લિપ પર એક ચેટ શોમાં યુવીએ કહ્યું, 'હું અને માહી નજીકના મિત્રો નથી. અમે મિત્રો હતા કારણ કે અમે સાથે ક્રિકેટ રમ્યા હતા પરંતુ માહી અને મારી જીવનશૈલી ઘણી અલગ હતી. તેથી જ અમારી વચ્ચે ગાઢ મિત્રતા નહોતી. તે જરૂરી નથી કે તમારા સાથી ખેલાડીઓ મેદાનની બહાર તમારા શ્રેષ્ઠ મિત્રો હોય. દરેક વ્યક્તિની જીવન જીવવાની રીત અલગ-અલગ હોય છે. કોઈપણ એક ટીમને જોઈલો, તમામ 11 ખેલાડીઓ એકસાથે ફરવા સાથે નહીં જાય.


યુવરાજે કહ્યું કે, 'જ્યારે પણ હું અને માહી મેદાનમાં ઉતરતા ત્યારે અમે બંને દેશ માટે 100% આપી દેતા હતા. તે કેપ્ટન હતો અને હું વાઇસ કેપ્ટન હતો. અમારા નિર્ણયોમાં તફાવત હતો. તેના કેટલાક નિર્ણયો એવા હતા જે મને ન ગમ્યા અને મારા કેટલાક નિર્ણય તેની સમજ બહારના હતા. આવું દરેક ટીમ સાથે થાય છે. યુવરાજે આ દરમિયાન એકબીજાને મદદ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે ધોનીને સદી પૂરી કરવામાં મદદ કરી હતી. તેણે એમ પણ કહ્યું કે ધોનીએ પણ એક વખત તેની ફિફ્ટી પૂરી કરવામાં તેને સપોર્ટ કર્યો હતો.


જ્યારે યુવરાજે ધોની પાસેથી કરિયર અંગે સલાહ લીધી હતી
યુવરાજે તેની વાતચીતમાં તે ક્ષણનો ઉલ્લેખ પણ કર્યો હતો. જ્યારે તેણે તેની કારકિર્દી અંગે ધોની પાસેથી સલાહ લીધી હતી. તેણે કહ્યું, જ્યારે હું મારી કારકિર્દીના અંતિમ તબક્કામાં હતો અને હું મારા ભવિષ્ય વિશે સ્પષ્ટ નહોતો ત્યારે મેં ધોની પાસે સલાહ માંગી હતી. તે એ જ વ્યક્તિ હતો જેણે મને કહ્યું હતું કે પસંદગી સમિતિ અત્યારે તારા વિશે વિચારતી નથી. મારી સ્થિતિ એવી હતી કે મારે વાસ્તવિક પરિસ્થિતિ અને શું થઈ રહ્યું છે તે મારે જાણવું હતું. આ વર્લ્ડ કપ 2019 પહેલા થયું હતું અને તે સાચું છે. આખરે યુવરાજ કહે છે કે, 'તે પણ નિવૃત્ત થઈ ગયો છે. હું પણ નિવૃત્ત થયો છું. જ્યારે અમે મળીએ છીએ, ત્યારે અમે મિત્રોની જેમ મળીએ છીએ. અમે તાજેતરમાં સાથે એક જાહેરાત પણ શૂટ કરી છે. આ સમય દરમિયાન અમને જૂની વાતો યાદ કરવામાં ખૂબ મજા આવી.