ધોની વિરાટને ટીમમાં જ લેવા નહોતો માગતો, તેના બદલે કોને લેવા કરેલું દબાણ?

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અંગે વેંગસરકરે મોટો ખુલાસો કર્યો છે. ખુલાસામાં ધોની અને કસ્ટર્નનું નામ લીધું છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને મુખ્ય સિલેક્ટર રહી ચુકેલા દિલીપ વેંગસકરે ખુલાસો કરતાં કહ્યું છે કે ધોની 2008માં વિરાટ કોહલીને ટીમમાં જ લેવા નહોતો માગતો, આમાં કોચ ગેરી કસ્ટર્ન પણ સામેલ હતાં.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વેંગસકરે વધુમાં જણાવ્યુ, 'એન.શ્રીનિવાસને મને પુછ્યુ કે બદ્રીનાથને ક્યા આધાર પર ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, તો મે તેમને સમજાવ્યુ કે ઓસ્ટ્રેલિયામાં એમર્જિગ પ્લેયર્સ ટૂર માટે ગયો હતો, જ્યાં મે વિરાટ કોહલીને જોયો, જે સારો ખેલાડી છે માટે તે ટીમમાં છે. શ્રીનિવાસને તર્ક આપ્યો કે બદ્રીનાથે તમિલનાડુ માટે 800થી પણ વધુ રન બનાવ્યા છે. મે તેમને જણાવ્યુ કે તેને તક જરૂર મળશે, ફરી તેમણે મને પૂછ્યુ, 'તેને તક ક્યારે મળશે? તે 29 વર્ષનો તો થઇ ચુક્યો છે' મે કહ્યું કે તેને તક જરૂર મળશે પરંતુ હું એમ ન કહી શકુ કે ક્યારે મળશે. બીજા દિવસે એન.શ્રીનિવાસન કૃષ્ણામાચારી શ્રીકાંતને શરદ પવાર પાસે લઇ ગયા, જે તે સમયે BCCIના અધ્યક્ષ હતા, અને બસ પસંદગીકારના રૂપમાં મારા કાર્યકાળનો અંત થઇ ગયો'
વેંગસરકરે ખુલાસામાં એવો પણ દાવો કર્યો કે, તેમને મુખ્ય પસંદગીકારના પદ પરથી એટલા માટે હટવું પડ્યુ હતું, કારણ કે તેમણે IPL ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સના એક ખેલાડીને ટીમ ઇન્ડિયામાંથી બહાર કરી દીધો હતો.
દિલીપ વેંગસકરે કહ્યું, 'હું જાણતો હતો, તે એસ બદ્રીનાથને ટીમમાં રાખવા માંગતા હતા કારણ કે તે ચેન્નાઇ સુપરકિંગ્સનો ખેલાડી હતો. જો કોહલીને ટીમમાં સામેલ કરવામાં આવે તો બદ્રીનાથે બહાર બેસવુ પડે, તે સમયે એન.શ્રીનિવાસન BCCIના કોષાધ્યક્ષ હતા. તે આ વાતથી નારાજ થયા કે બદ્રીનાથને ટીમમાંથી હટાવી દેવામાં આવ્યો, કારણ કે તે તેમના રાજ્યની ટીમ તથા IPL ટીમનો ખેલાડી હતો.'
મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન દિલીપ વેંગસકરે જણાવ્યુ કે જ્યારે તે ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યો ત્યારે ભારતીય વન ડે ઇન્ટરનેશનલ મેચોની સીરીઝ રમવા માટે શ્રીલંકા જવાની હતી. વેંગસકરે જણાવ્યુ, 'મને લાગ્યુ કે આ (વિરાટ કોહલી)ને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવા માટે સારી સ્થિતિ છે. જો કે અન્ય ચાર સિલેક્ટર્સ મારા નિર્ણયથી સહમત થયા હતા, પરંતુ કોચ ગેરી કસ્ટર્ન અને કેપ્ટન એમએસ ધોની સહમત ન હતા. આ બન્નેએ કોહલીને વધુ રમતા જોયો નહતો. મે તેમને જણાવ્યુ કે મે તેને રમતા જોયો છે અને અમારે તેને ટીમમાં લેવો જોઇએ'
નોંધનીય છે કે, ઓક્ટોબર 2006માં મેઇન સિલેક્ટર પદ પર કિરણ મોરેની જગ્યા લેનારા દિલીપ વેંગસકરને માત્ર બે વર્ષ બાદ ઓક્ટોબર, 2008માં પદ પરથી દુર કરી દેવામાં આવ્યા હતા. વેંગસકરના સ્થાને કૃષ્ણામાચારી શ્રીકાંતને મુખ્ય સિલેક્ટર બનાવવામાં આવ્યો હતો.