નવી દિલ્હીઃ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગ અને કેપ્ટન તરીકે સફળતાનો શ્રેય એમએસ ધોનીને આપ્યો છે. કોહલીએ જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં રન નહોતા બનાવ્યા ત્યારે ધોનીએ સમર્થન કર્યં હતું. કોહલીએ કહ્યું કે, પાકિસ્તાન સામેની એક મેચમાં ધોની મારી અને રોહિત પર ગુસ્સે થયો હતો.


2012માં એશિયા કપ મેચ દરમિયાન કોહલી અને રોહિત બોલ પાછળ દોડતા હતા. આ દરમિયાન પાકિસ્તાનના બેટ્સમેનોએ દોડીને ત્રણ રન લીધા હતા. અશ્વિન સાથે તેના ઇન્સ્ટાગ્રામ ચેટ પર વાત કરતાં વિરાટ કહ્યું, મને યાદ છે કે ધોની મારાથી નાખુશ હતો. પાકિસ્તાને 329 રન બનાવ્યા હતા અને શરૂઆતમાં પાકિસ્તાની બેટ્સમેનોએ મોટી પાર્ટનરશિપ કરી હતી. તેમણે ફટકારેલા એક શોટને લઈ મારી અને રોહિત વચ્ચે ગેરસમજ થઈ અને બોલને પકડતાં સુધીમાં બેટ્સમેનોએ 3 રન દોડીને લઈ લીધા.

મને યાદ છે કે ઈરફાન બોલ ચેસ કરતો હતો અને બાદમાં અમે ધોની તરફ બોલ ફેંક્યો. જે બાદ ધોનીએ કહયું કે, તમે બંને પરસ્પર ટકરાઈને કેવી રીતે ત્રણ રન આપી શકો છો. આ દરમિયાન અશ્વિન બોલિંગ કરતો હતો. હું ડીપ મિડ વિકેટ પર હતો અને રોહિત સ્કવેર લેગ પર. હું અંદર આવ્યો અને રોહિત પણ બોલ તરફ દોડ્યો. જેથી મારું માથું રોહિતના ખભા સાથે ટકરાયું. આ સ્થિતિમાં ખબર ન પડી કે શું થયું અને તેમણે ત્રણ રન દોડીને લઈ લીધા.

આ મેચમાં ઓપનર નાસિર જમશેદ અને મોહમ્મદ હફિઝે સદી ફટકારી હતી અને પાકિસ્તાને 6 વિકેટના નુકસાન પર 329 રન બનાવ્યા હતા. પરંતુ વિરાટની 148 બોલમાં 183 રનની ઈનિંગના કારણે ભારતે 47.5 ઓવરમાં મેચ જીતી લીધી હતી.