નવી દિલ્હી: મહેન્દ્રસિંહ ધોનીને બીસીસીઆઈએ 2019-20ના કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દીધો છે. તે ગત કોન્ટ્રાક્ટમાં ગ્રેડ-એ માં સામેલ હતો. પણ 6 મહિનાથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેવાના કારણે તેનો સમાવેશ કરાયો નથી. જોકે બીસીસીઆઈએ એ સ્પષ્ટ કરી દીધું છે કે ધોની જો ક્રિકેટ રમશે તો તેમને કોન્ટ્રાક્ટમાં સ્થાન મળી જશે. ધોની જો આ વર્ષે ટી-20 ટીમમાં સ્થાન બનાવવા સફળ રહેશે તો તેને ફરી યાદીમાં સ્થાન મળી શકે છે. જોકે તેની સંભાવના ઓછી છે. વર્તમાન નિયમ પ્રમાણે તે જ ખેલાડીને કેન્દ્રીય કરાર આપવામાં આવે છે જે ઓછામાં ઓછી 3 ટેસ્ટ કે 8 વન-ડે રમ્યો હોય. 8 ટી-20 મેચ રમે તો પણ યાદીમાં સામેલ થઈ શકે છે.


બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ તેની (ધોની) સાથે વાત કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈને બીસીસીઆઈના એક અધિકારીને કહ્યું હતું કે જો ધોની ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ કે તે પહેલા ટીમ ઇન્ડિયામાં આવે તો તેમને મેચના આધારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.

રિપોર્ટ પ્રમાણે અધિકારીએ કહ્યું કે,‘સપ્ટેમ્બર 2019થી અત્યાર સુધી કોઈ ઇન્ટરનેશનલ મેચ ધોનીએ રમી નથી. તેથી તેમને યાદીમાં સામેલ કરી શકાય નહીં.’ અધિકારીએ વધુમાં જણાવ્યું કે,‘ધોની જેવા અનુભવી અને લોકપ્રિય ખેલાડીને આ અંગે માહિતી આપવી જરૂરી છે કે હાલ તેમને બોર્ડના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા નથી અને આ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે.’

ઉપરાંત અધિકારીએ જણાવ્યું કે,‘જો ધોની ઓસ્ટ્રેલિયામાં થનારા ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મેળવે છે તો તેમને ‘પ્રો-રાટા’ ના આધારે કોન્ટ્રાક્ટમાં સામેલ કરવાની સંભાવનાઓ છે. હાલના નિયમ મુજબ કોન્ટ્રાક્ટમાં એવા જ ખેલાડીને સામેલ કરવામાં આવે છે જેને ઓછામાં ઓછા 3 ટેસ્ટ અને 8 વન ડે મેચ રમ્યા હોય. જો તે એટલા ટી20 મેચ રમે તો તેમને સામેલ કરી શકાય છે.’