નવી દિલ્હીઃ સેમી ફાઈનલમાં ભારતની હાર સાથે વર્લ્ડકપમાંથી ભારત બહાર ફેંકાઈ ગયું હતું. વર્લ્ડકપમાં સૌથી વધુ ટીકા ધોનીની ધીમી બેટિંગને લઈને થઈ છે અને ત્યારથી જ ધોનીની નિવૃત્તીની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે હજુ સુધી ધોનીએ પોતાની નિવૃત્તીને લઈને કોઈ નિર્ણય કર્યો હોય એવું લાગતું નથી.


જોકે આગામી વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં ધોની ટીમનો ભાગ નહીં હોય એવા બીસીસીઆઈએ સંકેત આપ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ધોની હાલ ક્રિકેટમાંથી નિવૃત્તી નહીં લે પણ આ પહેલા તે પોતાનું અધૂરું કામ પૂરું કરશે.



ઓગસ્ટની શરૂઆતમાં શરૂ થનારા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન ધોની ત્રણ ટી-20 અને ત્રણ વન ડેમાં ટીમ સાથે નહીં હોય. જોકે, ત્યાર બાદ તે ટીમ ઇન્ડિયામાં આવી રહેલા ફેરફારના અંતિમ તબક્કામાં ભાગ લેશે.

વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં તે વિકેટકિપર તરીકે ટીમમાં સામેલ નહીં થાય. રિષભ પંત તેની જગ્યા લેશે અને તે સેટ નહીં થાય ત્યાં સુધી તેનું પ્રદર્શન સુધારવામાં મદદ કરશે. ધોની ટીમ ઇન્ડિયામાં આવી રહેલા ફેરફારમાં મદદ કરશે. તે ટીમના 15 ખેલાડીમાં સામેલ હશે પરંતુ પ્લેઇંગ ઈલેવનનો ભાગ નહીં હોય.



જોકે, દિનેશ કાર્તિક પંતની સરખામણીમાં ખૂબ અનુભવી છે અને તે ટીમનો ભાગ બની શકે છે. આ ઓક્ટોબરમાં પંત 22 વર્ષનો થઈ જશે. ટીમે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ રમવાનો છે. ત્યાં સુધી તેની ઉંમર 23 વર્ષ થઈ જશે. ગત દિવસોમાં તેણે પોતાની ક્ષમતા પણ બતાવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફેરફાર માટે આ યોગ્ય સમય છે.