નવી દિલ્હીઃ પાકિસ્તાનના કરાચીમાં 10 વર્ષ પછી વનડે ક્રિકેટની વાપસી થઈ પરંતુ આ દરમિયાન સ્ટેડિયમની ફ્લડ લાઈટ વારંવાર બંધ થઈ રહી હતી. આ ત્યારે થઈ રહ્યું હતુ જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકાના નેશનલ સ્ટેડિયમમાં બીજી વન ડે મેચ રમવામાં આવી રહી હતી. વર્ષ 2009મા શ્રીલંકા ટીમ પર આતંકી હુમલા બાદ કોઈ પણ ટીમે પાકિસ્તાનમાં રમવાથી ના પાડી હતી પરંતુ એકવાર શ્રીલંકાની ટીમ ત્રણ મેચોની વનડે સીરીઝ રમવા પાકિસ્તાનમાં આવી છે. એવામાં બીજા વનડેમાં વારે વારે સ્ટેડિયમની લાઈટ જવી એ ચિંતાનો વિષય છે.


બીજી વન ડે મેચ દરમિયાન બે વખત એવું જોવા મળ્યું કે મેચને બે વખત અધવચ્ચે જ રોકવાની ફરજ પડી હતી. જેના કારણે હવે વિશ્વભરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ની ફજેતી થઈ રહી છે. આપને જણાવી દઈએ કે અંતરરાષ્ટ્રીય વન ડે મેચ દરમિયાન બે ઓવરોમાં બે વખત મેદાન પર ઘનઘોર અંધારું જોવા મળ્યું. શ્રીલંકાની ઇનિંગના 38માં ઓવરમાં એક તરફની ફ્લડલાઇટ્સ(જે મેદાનમાં રોશની કરે છે) અચાનક બંધ થઈ હતી. થોડા સમય પછી લાઇટ્સને ફરી ચાલું કરવામાં આવી હતી અને મેચ શરૂ થઈ હતી.



ત્યાર બાદ વધુ એક ચોંકાવનારી ઘટના બની. શ્રીલંકાની ઇનિંગના 39માં ઓવર એટલે કે લાઇટ ચાલું થયાના માત્ર બીજી જ ઓવરમાં ફરીથી ફ્લડલાઇટ્સ બંધ થઈ હતી. આ રીતે મેચને બે વખત રોકવાની ફરજ પડી. આ દમરિયાન પણ મેદાન પર ઘનઘોર અંધારું દર્શકોને જોવા મળ્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ કરાચીના આ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં કુલ 6 ફ્લડલાઇટ્સ ટાવર લાગેલા છે. જેમાંથી બે ટાવરોમાં લાઇટ્સ બે વાર એકાએક બંધ થઈ હતી. જેના કારણે મેચ બે વખત રોકાઈ હતી. જોકે મેચ દરમિયાન લાઇટ્સ કેમ બંધ થઈ તે વિશે અત્યાર સુધી પણ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ મેચ પાકિસ્તાને 67 રનોથી જીતી હતી.

જો કે બીજી વનડે બંને ટીમો વચ્ચે ખૂબ જ સારી રીતે થઈ પરંતુ સ્ટેડિયમની લાઈટ વારે વારે જવાથી હવે પાકિસ્તાન ક્રિકેટ અને ત્યાંના આયોજકો પર સવાલો ઉઠાવી રહ્યાં છે. ત્યાં બીજી તરફ યૂઝર્સે તેમને ટ્રોલ પણ કરી રહ્યાં છે.