પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પોતાની પુસ્તક ‘ગેમ ચેન્જર’માં વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પુસ્તકમાં આફ્રિદીએ લખ્યું હતું કે, વર્ષ 2010માં થયેલ સ્પોટ ફિક્સિંગ કાંડ મામલે સાથી ખેલાડીઓ અને સટોડિયાઓ વચ્ચેના એસએમએસની જાણકારી હતી પણ તત્કાલીન કોચ વકાર યુનુસને આ મામલે પુરાવા આપવા છતાં તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી.

પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’માં સનસનીખેજ ખુલાસો કરતાં આફ્રિદીએ કહ્યું હતું કે, એક સ્ટિંગમાં ખુલાસો થાય તે પહેલાં સટોડિયા મઝહર મજીદ અને સાથી પાકિસ્તાની ખેલાડીઓના વચ્ચેના એસએમએસની તેમને જાણકારી હતી.

સ્પોટ ફિક્સિંગ મામલો ઓગસ્ટ 2010માં પાકિસ્તાનના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સામે આવ્યો હતો. તે સમયે કેપ્ટન સલમાન બટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર પર આઈસીસીએ પ્રતિબંધ લગાવી દીધો હતો. આફ્રિદીએ કહ્યું હતું કે, સમગ્ર ઘટના પ્રકાશમાં આવે તે પહેલાં જ તમામ પુરાવા ટીમ મેનેજમેન્ટને આપી દેવામાં આવ્યા હતા પણ તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી.

આફ્રિદીએ કહ્યું હતું કે, તે જ્યારે જૂન 2010માં એશિયા કપ માટે શ્રીલંકામાં હતો ત્યારે તેને મઝહર અને બટના એક એજન્ટ અને મેનેજરના એસએમએસ મળ્યાં હતા. તેઓએ કહ્યું હતું કે, મજીદ એ સમયે પોતાના પરિવાર સાથે શ્રીલંકામાં હતો અને એક બીચ પર તેના પુત્રએ મોબાઈલ પાણીમાં નાખી દીધો હતો.

આફ્રિદીએ કહ્યું કે, જ્યારે મજીદ ઈંગ્લેન્ટ પરત ફર્યો ત્યારે તે ફોન રિપેર કરવા માટે આપ્યો હતો. ફોન થોડા દિવસો સુધી દુકાન પર જ રહ્યો હતો. આ વાતની જાણ દુકાનદારે મારા દોસ્તને કરી હતી. ફોન રિપેર કરતાં દુકાનદારે મજીદના મેસેજ જોયા હતા. તેણે મારા દોસ્તને જણાવ્યું અને તેણે મને જણાવ્યું હતું.