નવી દિલ્હી: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દેશના સંસ્થાપક મુજીબર રહમાનની 100મી વર્ષગાંઠ પર એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે બે ટી 20 મેચનું આયોજન કરવા જઈ રહ્યું છે. ઢાકાના શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં 18 અને 21 માર્ચે આ બંને મેચ રમાશે. આ મેચ માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એશિયામાં ક્રિકેટ રમનારી દરેક દેશની ટીમ પાસે પોતાના ખેલાડીઓ મોકલવાનો આગ્રહ કર્યો હતો. બાંગ્લાદેશે બીસીસીઆઈને પણ ખેલાડીઓ મોકલવા માટે આગ્રહ કર્યો હતો અને હવે તેના જવાબમાં બીસીસીઆઈએ કહ્યું તે કેટલાક ખેલાડીઓ મોકલશે.


બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એશિયા XI માટે ભારતીય ખેલાડીઓના નામ બીસીબીને મોકલી દીધા છે. ગાંગુલીએ ચાર ખેલાડીઓની પસંદગી કરી છે જેમાં કેપ્ટન કોહલી, શિખર ધવન, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ છે. સૂત્રોનુ માનીએ તો સૌરવ ગાંગુલીએ ખેલાડીઓની ઉપલબ્ધતા જોતા બીસીબીને આ નામ મોકલ્યા છે. વિરાટ કોહલી, શિખર ધવન, શમી અને કુલદીપ હવે એશિયા એકાદશ ઈલેવનનું પ્રતિનિધિત્વ કરશે.

શરૂઆતમાં એ વાત પર શંકા હતી કે એશિયા ઈલેવનમાં પાકિસ્તાનના ખેલાડીઓ પણ રમશે કે નહી. તેને લઈને બીસીસીઆઈના સહાયક સચિવ જયેશ જોર્જ કહ્યું છે કે તેના માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આમંત્રણ નથી આપવામાં આવ્યું. જયેશ જોર્જે કહ્યું અમને ખબર પડી છે કે એશિયા ઈલેવનમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોઈ ખેલાડી નહી રમે. બીજી તરફ પીસીબી તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની ખેલાડીઓ આ મેચથી દૂર રાખવામાં આવ્યા છે કારણ કે તેઓ પાકિસ્તાન સુપર લીગ રમવામાં વ્યસ્ત છે.