નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરવામાં આવેલ વનડે ટીમને લઈને બીસીસીઆઈ પર સવાલ ઉઠાવ્યા છે. સૌરવ ગાંગુલીએ બુધવારે કહ્યું કે, તે હેરાન છે કે ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલ અને અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેને વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 3 મેચની વનડે સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં કેમ ન આવ્યા.




પૂર્વ ભારતીય કેપ્ટને લખ્યું કે સમય આવી ગયો છે કે પસંદગીકર્તા લય અને વિશ્વાસ માટે ખેલાડીઓને દરેક ફોર્મેટ માટે ટીમમાં સામેલ કરે. ગાંગુલીએ ટ્વીટ કરતાં કહ્યું કે કેટલાંક ખેલાડી દરેક ફોર્મેટમાં રમે છે. આ તમામને ખુશ કરવા માટે નહીં, પરંતુ દેશ માટે સૌથી સારું કરે તેના માટે છે. સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈને ટેગ કરતાં લખ્યું કે કેટલાંય એવા ખેલાડી છે જે દરેક ફોર્મેટમાં રમી શકે છે. શુભમન ગિલ અને વનડે ટીમમાં અજિંક્ય રહાઇને સામેલ ના કરવા પર હેરાની થઇ છે.

ઉલ્લેખનીય છે કે વિદેશની ધરતી પર અજિંક્ય રહાણેનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે એવામાં આશા હતી કે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં નથી તો તે મિડલ ઓર્ડરમાં ટીમને સંભાળી શકે છે. બીજીબાજુ શુભમન ગિલ જેવા યુવા સ્ટાર્સની પણ ટીમમાં પસંદગી ના થતા આશ્ચર્ય લાગ્યું હતું. આપને જણાવી દઇએ કે સૌરવ ગાંગુલી બીસીસીઆઈની સલાહકાર સમિતિના સભ્ય પણ છે.