નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને વર્લ્ડકપ 2019માં દમદાર પરફોર્મન્સ માટે મને ઓફ ધ સિરીઝ પસંદ કરવામાં આવ્યા હતા. વર્લ્ડકપ 2019માં મેન ઓફ ધ સિરીઝની રેસમાં રોહિત શર્મા, મિચેલ સ્ટાર્ક અને શાકિબ અલ હસન જેવા દમદાર ખેલાડી હતા, પરંતુ કેન વિલિયમસનને આઈસીસીની સ્વતંત્ર પેનલે મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ આપ્યો.




પોતાનું નામ પસંદ થતાં એકવાર તો વિલિયમસન પોતે પણ વિશ્વાસ ન કરી શક્યો. તેણે 10 મેચમાં 82.57ની સરેરાશથી 578 રન કર્યા હતા. તેણે બે સેન્ચુરી અને પાંચ હાફ સેન્ચુરી ફટકારી હતી. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવાના મામલામાં ચોથા નંબરે રહ્યો.

વિલિયમસનના નામની જાહેરાત જ્યારે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે થઈ ત્યારે જણાવવામાં આવ્યું કે તેણે 578 રન કરવા ઉપરાંત ખૂબ જ સારી કેપ્ટન્સી કરી. તેના કારણે જ ટીમ ફાઇનલ સુધી પહોંચી. વિલિયમસન વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં બે વાર મેન ઓફ ધ મેચ પણ બન્યો. તેને આઈસીસીના સ્વતંત્ર પેનલે આ ટાઇટલ માટે પસંદ કર્યો.



ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટની અનેક મેચોમાં વિલિયમસનની કેપ્ટન્સીએ વિરોધી ટીમોને પછાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી. એવામાં રોહિત પર વિલિયમસન ભારે પડી ગયો.