નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલ બાદ એુવં કંઈક થયું જેના કારણે ક્રિકેટની છબિને નુકસાન પહોંચ્યું છે. ફાઈનલ મેચ બાદ મેદાન પર ભારતીય અને  બાંગ્લાદેશી ખેલાડીઓની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. બન્ને ટીમોના કેટલાક ખેલાડીઓની વચ્ચે કંઈક બોલાચાલી થઈને ધક્કા મુક્કી પણ જોવા મળી. આ ઘટનાને લઈને આઈસીસી તપાસ બાદ જ પોતાનો નિર્ણય આપશે. ભારતીય અંડર-19 ટીમના મેનેજર અનિલ પટેલે કહ્યું કે, આઈસીસી આ ઘટાનો વીડિયો જોયા બાદ જ પોતાનો નિર્ણય આપશે.


ડકવર્થ લુઈસ મેથડથી બાંગ્લાદેશે ફાઈનલ મેચમાં ભારતને ત્રણ વિકેટે હરાવીને પ્રથમ વખત કોઈ આઈસીસી વર્લ્ડ કપ  ખિતાબ પોતાના નામે કર્યો. મેચ 9 ફેબ્રુઆરીના રોજ પોચેફ્સ્ટ્રમના સેનવેસ પાર્કમાં રમાયો. મેચ બાદ બન્ને ટીમના ખેલાડીઓની વચ્ચે બોલાચાલી થઈ, આ દરમિયાન કેટલાક ખેલાડીઓ ધક્કા મુક્કી કરતા પણ જોવા મળ્યા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો અને સાથે જ તેને માટે ખેલાડીઓની ખૂબ ટિકા પણ થઈ રહી છે. અનિલ પટેલે કહ્યું કે, ‘મેચ બાદ મેં સત્તાવાર મેચ રેફરીને આ મામલે વાત કરી. હવે આઇસીસી વીડિયો જોયા બાદ પોતાનો નિર્ણય સંભળાવશે.’

બાંગ્લાદેશ અંડર-19 ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા કહ્યું. ભારતીય અંડર-19 ટીમે 47.2 ઓવરમાં 177 રન પર ઓલઆઉટ થઈ ગઈ, યશસ્વી જયસવાલે 88 રનની ઇનિંગ રમી. વરસાદને કારણે બાંગ્લાદેશ સામે 46 ઓવરમાં 170 રનનો ટાર્ગેટ રાખવામાં આવ્યો. બાંગ્લાદેશે 42.1 ઓવરમાં સાત વિકેટ ગુમાવીરને 170 રન બનાવીને અંડર-19 વર્લ્ડ કપ ખિતાબ પોતાના નામે કર્યો.