નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2019ની તૈયારીમાં લાગી ગઈ છે અને હાલમાં ચાલી રહેલ ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સીરીઝની વચ્ચે કેટલાક પૂર્વ દિગ્ગજોએ વિરાટ કોહીલની કેપ્ટનશીપને લઈને ચર્ચા શરૂ કરી દીધી છે. ભારતના જાણીતા પૂર્વ સ્પિનર અને કેપ્ટન બિશન સિંહ બેદીએ વિરાટ કોહલની કેપ્ટનશીપને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. દિલ્હીમાં રમાનાર ભારત ઓસ્ટ્રેલિયા વનડે મેચ પહેલા પૂર્વ ભારતીય દિગ્ગજ બિશનસિંહ બેદીએ વિરાટને 'હાફ કેપ્ટન' કહ્યો છે. તેમણે કહ્યું કે મહેન્દ્ર સિહ ધોની ટીમ ઇન્ડિયાનો 'અડધો કેપ્ટન' છે.


બેદીએ કહ્યું કે, હું ટિપ્પણી કરનારો કોણ છું, પરંતુ અમે બધા આશ્ચર્ય અનુભવી રહ્યાં હતાં કે ધોનીને આરામ કેમ અપાયો અને રવિવારે મોહાલીમાં વિકેટ પાછળ, બેટિંગ અને ફીલ્ડિંગમાં તેની કમી જોવા મળી. ધોની એક રીતે અડધો કેપ્ટન છે.



ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટમાં 267 વિકેટ લેનારા બેદીએ ધોનીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, ધોની યુવા ખેલાડી રહ્યો નથી. કેપ્ટનશિપના મોરચે વિરાટને ધોનીનો સાથ જોઇએ. એના વગર તે અસહજ દેખાય છે. આ સારા સંકેત નથી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે ઇતિહાસમાં આ પહેલીવાર હતું કે જ્યારે ટીમ ઇન્ડિયાને 350 રનના ટાર્ગેટ બાદ પણ હારનો સામનો કરવો પડ્યો. આ પહેલાં ભારતે 23 વખત 350થી વધુ રન બનાવ્યા અને જીત પણ મેળવી હતી. જે બાદ મોહાલીમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠી રહ્યાં છે.



મોહાલીમાં જ્યારે છેલ્લા સમયે ટીમ ઇન્ડિયા જીત માટે પરસેવો પાડી રહી હતી ત્યારે વિરાટ કોહલી બાઉન્ડ્રી લાઇન પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. જો ધોની ટીમમાં હોત તો વિરાટનું કામ સરળ થઇ ગયું હોત. ધોની વિકેટ પાછળ ઉભો રહીને સતત રણનીતિ તૈયાર કરે છે. તે સતત બોલર્સ સાથે વાતચીત કરે છે.