નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ આખરે ગુલાબી રંગે રંગાશે અને બાંગ્લાદેશ સામે શુક્રવારથી ઇડન ગાર્ડન્સ ખાતે રમાનારી ઐતિહાસિક ડે નાઇટ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ટીમનું પલડું ચોક્કસપણે ભારે રહેશે. ભૂતપૂર્વ સુકાની તથા વર્તમાન બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પિંક (ગુલાબી)થી આ ટેસ્ટ રમાડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આઇસીસી પ્રેક્ષકોનો ઉત્સાહ તથા રુચિ વધે તે માટે સાત વર્ષ પહેલાં પિંક બોલથી ડે નાઇટ મેચ રમાડવાને લીલી ઝંડી આપી દીધી છે. ગાંગુલીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ઘણા ઓછા સમયમાં પિંક બોલથી ટેસ્ટ મેચ રમવા માટે મનાવી લીધું હતું.


આઇસીસીએ સાત વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટની ફોર્મેટને વધારે લોકપ્રિય બનાવવા માટે પિંક બોલથી રમવાની મંજૂરી આપી દીધી હતી પરંતુ ભારત શુક્રવારથી ઇડન ગાર્ડન્સ ખાતે બાંગ્લાદેશ સામેની પદાર્પણ ડે-નાઇટ ટેસ્ટ રમશે. અત્યાર સુધીમાં ૧૧ ડે-નાઇટ ટેસ્ટ રમાઇ ચૂકી છે જેની શરૂઆત ૨૦૧૫ની ૨૭મી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર સુધી એડીલેડ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ દ્વારા થઇ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ત્રણ વિકેટથી વિજય હાંસલ કર્યો હતો.

વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધી ૧૧ ડે-નાઇટ ટેસ્ટ રમાઇ ચૂકી છે. ચાર વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાઇ હતી.

ડે-નાઈટ મેચમાં શું હશે ખાસ?

– ભારત અને બાંગ્લાદેશ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે જે ટેસ્ટ ક્રિકેટની 12મી ડે-નાઈટ ટેસ્ટ હશે.
– મેચ બપોરે 1.00 વાગ્યે શરૂ થશે અને 8.00 વાગ્યે સમાપ્ત થશે.
– મેચમાં પ્રથમ બ્રેક બપોરે 3.00 વાગ્યે હશે અને બીજુ સેશન બપોરે 3.40 વાગ્યે શરૂ થશે. બીજો બ્રેક 5.40 વાગ્યે હશે અને અંતિમ સત્ર સાંજે 6.00 વાગ્યે શરૂ થશે.
– મેચમાં એસજીનો ગુલાબી બોલ ઉપયોગમાં લેવાશે. બીસીસીઆઈએ આ માટે એસજીને 72 ગુલાબી બોલનો ઓર્ડર આપ્યો છ.
– આર્મીના પેરાટ્રુપર્સ ઈડન ગાર્ડન્સમાં ઉડશે અને કેપ્ટન વિરાટ કોહલી અને મોમિનુલ હકને ટોસ અગાઉ પિન્ક બોલ સોંપશે.
– સ્ટેડિયમની નજીક એક વિશાળ પિન્ક બલૂન રહેશે જે મેચના અંત સુધી ત્યાં જોવા મળશે.
– શહિદ મિનાર અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (કેએમસી)ના કેટલાક પાર્કમાં પિન્ક લાઈટ કરવામાં આવશે.
– આ ડે-નાઈટ ટેસ્ટ માટે પિન્કુ અને ટિન્કુ બે સત્તાવાર મેસ્કોટ રહેશે.
– મેચના પ્રથમ ત્રણ દિવસ માટે કુલ 65,000 ટિકિટો વેચાઈ ગઈ છે.