નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારત-પાકિસ્તાનની મેચ માનચેસ્ટરના ઓલ્ડ ટૈફર્ડ મેદાનમાં મુકાબલો રમાશે. રવિવારે ભારતીય સમયાનુસાર બપોરે ત્રણ વાગે બંને ટીમો વચ્ચે મેચ શરૂ થશે. ભારતની છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હતી જોકે વરસાદના કારણે આ મેચ રદ્દ કરી દેવામાં આવી હતી.

હવામાન વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ પડે તેવી સંભાવના છે. રવિવારે માનચેસ્ટરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોરે વરસાદ થશે તેવી સંભાવના છે. જેના કારણે મેચમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે.

બ્રિટિશ હવામાન વિભાગ અનુસાર, અઠવાડીયાના અંત સુધીમાં માનચેસ્ટરમાં વાતાવરણ આજ પ્રકારનું રહેશે. આમ તો રવિવારે વરસાદની સંભાવના પણ છે. જોકે, વરસાદ બાદ હવામાન સાફ થઈ શકે છે. વરસાદના સમયે તાપમાનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.

વેધર રિપોર્ટ અનુસાર, શુક્રવારે માનચેસ્ટરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને તાપમાન 13 ડિગ્રી આસપાસ રહ્યું હતું. આ દરમિયાન 63 ટકા ભેજ રહ્યો હતો અને 14 કિમી પ્રતિકલાકની સ્પીડે પવન ફૂંકાતો હતો.