ધર્મશાળા વન-ડેઃ ભારતની શરમજનક હાર, 7 વિકેટે જીત્યું શ્રીલંકા
શ્રીલંકાના દાનુશ્કા ગુણથિલાકા (1), લાહિરુ થીરીમાન(0), નીરોશન ડીકવેલા(26)ની વિકેટ ગુમાવી હતી. જ્યારે ઉપુલ થરંગા(49), એન્જેલો મેથ્યૂસ(25) અણનમ રહ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી.
ધર્મશાળાઃ ભારત શ્રીલંકા વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝની પ્રથમ વન-ડેમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે ધર્મશાળામાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ ઈનિંગમાં 112 રને ઓલઆઉટ થઈ ગયું હતું, તેની સામે શ્રીલંકાએ ત્રણ વિકેટ ગુમાવી 114 રન બનાવી જીત હાંસલ કરી લીધી છે.
ભારતના 4 ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા નહોતા, જ્યારે યુજવેન્દ્ર ચહલ 0 રને અણનમ રહ્યો હતો.
ભારતના ધબડકા બાદ ધોનીએ 65 રનનું યોગદાન આપ્યું હતું. જેમાં તેણે 10 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. ધોનીના પ્રતિકારના કારણે જ ભારત 100 રનનો સ્કોર વટાવી શક્યું હતું.
શ્રેયસ ઐયરે ભારત તરફથી વન-ડે ડેબ્યૂ કર્યું હતુ. પરંતુ માત્ર 9 રનનું જ યોગદાન આપી શક્યો હતો.
હાર્દિક પંડ્યા 10 રન બનાવી પ્રદીપની ઓવરમાં સ્લિપમાં મેથ્યુસને કેચ આપી બેઠો હતો. ભુવનેશ્વર કુમાર પણ ખાતું ખોલાવી શક્યો નહોતો અને લકમલની ઓવરમાં વિકેટકિપર ડિકવેલાને કેચ આપી બેઠો હતો.કુલદીપ યાદવ 19 રન બનાવી ધનંજયની ઓવરમાં સ્ટપ આઉટ થયો હતો.
મનીષ પાંડે પણ માત્ર 3 રનનું યોગદાન આપી શક્યો હતો. રોહિત શર્મા, દિનેશ કાર્તિક અને મનીષ પાંડેની વિકેટ ઝડપી લકમલે તરખાટ મચાવ્યો હતો. વન ડે કેપ મેળવનારો ઐયર 9 રન બનાવી પ્રદીપની ઓવરમાં બોલ્ડ થયો હતો.
શિખર ધવનના રૂપમાં ભારતને ફટકો લાગ્યો હતો. ધવન 0 રને મેથ્યુસની ઓવરમાં એલબીડબલ્યુઆઉટ થયો હતો. જે પછી થોડીવારમાં કેપ્ટન રોહિત શર્મા પણ 2 રન બનાવી આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર માત્ર 4 રનનો હતો. દિનેશ કાર્તિક પણ ખાતું ખોલાવી શક્યો નહોતો.