ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી વનડે હવે ઈન્દોરમાં નહીં, આ શહેરમાં રમાશે, જાણો વિગત
નવી દિલ્હી: ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે યોજનારી પાંચ વનડે સીરીઝીની બીજી વનડે વિશાખાપટનમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે તેની જાહેરાત કરી છે. આ વનડે 24 ઓક્ટોબરે ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી હતી. પરંતુ બીસીસીઆઈ અને મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘ વચ્ચે કોમ્પ્લિમેન્ટરી પાસના મુદ્દે વિવાદ થતાં મેચનું આયોજન કરવા માટે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશને ઇન્દોરમાં મેચ યોજવાનું પડતું મૂકયું હતું.
મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના અધિકારી મિલિન્દ કંમાડીકરે જણાવ્યું હતું કે અમે બોર્ડને જાણ કરી દીધી છે પરંતુ બીસીસીઆઇ કે સીઓએ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. મેચ નહીં યોજવાનો નિર્ણય મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનની મેનેજિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેમાં તમામ મુદ્દા અને પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વનડે 21 ઓક્ટોબરે(ગુવાહાટી), બીજી વનડે 24 ઓક્ટોબર(વિશાખાપટ્ટનમ), ત્રીજી વનડે 27 ઓક્ટોબર(પૂણે), ચોથી વનડે 29 ઓક્ટોબર (મુંબઈ), 1 નવેમ્બર પાંચમી વનડે(તિરુવનંતપુરમ)માં રમાશે.
ઉલ્લખનીય છે કે, બોર્ડના નવા બંધારણ મુજબ દરેક મેચની 90% ટિકિટ સામાન્ય પ્રેક્ષકોને વેચાશે. આયોજકોને 10% પાસ મળશે. આ પહેલા આયોજક વીઆઈપીના નામે ટિકિટ વેચતા જ નહોતા. સ્ટેડિયમની પ્રેક્ષકોની ક્ષમતા 27600 છે. એવામાં આયોજકોને માત્ર 2760 ટિકિટ મળશે, 24840 ટિકિટ વેચાશે. બીસીસીઆઈએ તેમાંથી 5% એટલે કે 1360 ટિકિટ માગી છે. 2017માં વિન્ડિઝ પ્રવાસમાં મ.પ્ર. ક્રિકેટ એશો.ના સચિવને મેનેજર બનાવાયા હતા. પરંતુ સીઓએએ તેમને રોકી દીધા હતા. આ વિવાદને આ સંદર્ભમાં જોવાય છે.