કટકઃ આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ત્રીજી અને અંતિમ વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 10મી દ્વીપક્ષીય સીરિઝ જીતવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. કટકના બારામતી સ્ટેડિયમમાં બપોરે 1.30 કલાકથી મેચ શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝે ચેન્નઈમાં પ્રથમ વન ડેમાં શાનદાર જીત મેળવી હતી પરંતુ ભારતે વિશાખાપટ્ટનમમાં બીજી મેચ જીતીને વાપસી કરી હતી.


ભારતીય ટીમમાં ઘાયલ દીપક ચહરના સ્થાને દિલ્હીના ફાસ્ટબોલર નવદીપ સૈનીને તક મળી શકે છે. ભારતની ફિલ્ડિંગ પ્રથમ બે વન ડે દરમિયાન સાધારણ સ્તરની રહી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હાથમાં આવેલા સરળ કેચ પડતા મુક્યા હતા. બીજી વન ડે બાદ કોહલીએ કહ્યું હતું, અમારે કેચિંગ પર વધારે ધ્યાન આપવું પડશે. ભૂલો સુધારવી પડશે. ફિલ્ડિંગનો આનંદ ઉઠાવવાની જરૂર છે.

વિશાખાપટ્ટનમાં 159 રનની ઈનિંગ રમનારો રોહિત શર્મા તમામ ફોર્મેટમાં સર્વાધિક રન બનાવનારા શ્રીલંકાના વિસ્ફોટક ઓપનર સમથ જયસૂર્યાના રેકોર્ડથી 9 રન પાછળ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ ભારતમાં 13 વર્ષ બાદ કોઈ દ્વીપક્ષીય સીરિઝ જીતવા માંગશે. માર્ચમાં ઓસ્ટ્રેલિયામાં દ્વીપક્ષીય શ્રેણી હાર્યા બાદ ભારતીય ટીમે છેલ્લા 15 વર્ષમાં કોઈ સીરિઝ ગુમાવી નથી.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નવદીપ સૈની, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, શિવમ દુબે, મનીષ પાંડે, મયંક અગ્રવાલ