ચેન્નાઈ: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો. ભારતના પરાજય બાદ કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝનાં બેટ્સમેનોને જીતનો શ્રેય આપતાં જણાવ્યું હતું કે, અહીંની પીચ ધીમી હોવાને કારણે ટીમ મેનેજમેન્ટને બોલિંગમાં 6 વિકલ્પ પૂરતા લાગ્યા હતા.


આ મેચમાં 4 મુખ્ય બોલર્સ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી પરંતુ તેને પાંચમાં બોલરની ખોટ પડી હતી. કારણ કે, શિવમ દુબે અને કેદાર જાધવ પોતાની બોલિંગમાં કોઈ પ્રભાવ છોડી પાડી શક્યા નહતાં. વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 8 વિકેટથી જીતીને ત્રણ મેચોની વન ડે સીરિઝમાં વિજયી શરૂઆત કરી હતી.

મેચ બાદ કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે, અમને લાગ્યું હતું કે બોલિંગમાં 6 વિકલ્પ પર્યાપ્ત હશે ખાસ કરીને ત્યારે જ્યારે પીચ ધીમી હોય. અમારી પાસે કેદાર જાધવ પણ એક વધારાનો વિકલ્પ હતો પરંતુ દૂધિયા રોશનીમાં આ પિચ અલગ તરીકે રમી હતી. મને લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝે ખુબ જ સારી બેટિંગ કરી હતી. ફાસ્ટ બોલર બોલ ઉપર પોતાની પકડ જમાવી શકતા ન હતા. હેટમેયર અને હોપે શ્રેષ્ઠ ઈનિંગ રમી.

કોહલીએ ભારતીય ઈનિંગમાં હાફ સેન્ચુરી ફટકારી તેને શરૂઆતી ઝટકોથી ઉગારનાર શ્રૈયસ ઐયર (70) અને ઋષભ પંત (71)ના પણ ભરપૂર વખાણ કર્યાં હતાં. કોહલીએ કહ્યું હતું કે, હું અને રોહિત આજે ન ચાલી શક્યા અને તેવામાં આ બંને પાસે ચાન્સ હતો અને તેઓએ ધીમી પીચ ઉપર ખુબ સારી બેટિંગ કરી હતી.