ભારત વિન્ડિઝ શ્રેણીમાં મેદાન પરના અમ્પાયર્સની જવાબદારી થશે ઓછી, ICC કરશે આ નવતર પ્રયોગ
abpasmita.in | 06 Dec 2019 07:23 AM (IST)
આઈસીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ ટ્રાયલ દરમિયાન થર્ડ અમ્પાયર પ્રત્યેક ફેંકાયેલા બોલ પર નજર રાખશે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ટી20 ઇન્ટરનેશનલ અને વનડે ઇન્ટરનેશનલ મેચમાં નો બોલનો નિર્ણય મેદાન પર હાજર અમ્પાયર નહીં કરે અને થર્ડ અમ્પાચર એ નિર્ણય કરશે. ગુરુવારે આઈસીસીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. વેસ્ટ ઇન્ડિઝના ભારત પ્રવાસ પર ત્રણ ટી20 ઇન્ટરનેશનલ અને એટલા જ વનડે મેચ રમશે. શુક્રવારે હૈદ્રાબાદમાં શરૂ થઈ રહેલ આ સીરીઝમાં ટેકનીક દ્વારા નો-બોલ પર નિર્ણય લેવાનું પરીક્ષણ કરવામાં આવશે. આઈસીસીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ ટ્રાયલ દરમિયાન થર્ડ અમ્પાયર પ્રત્યેક ફેંકાયેલા બોલ પર નજર રાખશે અને જોશે કે તે બોલરનો ફ્રન્ટ ફૂટ યોગ્ય રીતે પડ્યો છે કે નહીં. જો ફ્રન્ટ ફૂટ નો-બોલ હશે તો થર્ડ અમ્પાયર મેદાન પર હાજર અમ્પાયર સાથે વાતચીત કરશે અને ત્યારબાદ મેદાન પર હાજર અમ્પાયર તેને નો-બોલ જાહેર કરશે. આમ મેદાન પર હાજર અમ્પાયર હવે થર્ડ અમ્પાયરની સલાહ લીધા વગર ફ્રન્ટ ફૂટ નો-બોલ જાહેર કરી શકશે નહીં. જો નો-બોલ જાહેર કરવામાં મોડું થશે તો મેદાન પર હાજર અમ્પાયર ત્યારે વિકેટ પડી હશે તો તેને રદ્દ કરશે અને નો-બોલ જાહેર કરશે. આ સિવાય મેચના તમામ અન્ય નિર્ણયો હંમેશની જેમ મેદાન પર હાજર અમ્પાયર જ લેશે. ટ્રાયલ દ્વારા જે પરિણામો આવશે તેના પરથી તારણ કાઢવામાં આવશે કે નો-બોલના નિર્ણયો માટે આ પદ્ધતિ લાભદાયક છે કે નહીં તથા રમતની લયમાં વિક્ષેપ ન પડે તે રીતે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે, તેમ આઈસીસીએ જણાવ્યું છે.