IPL 11: ધોનીની મુશ્કેલીમાં થયો વધારો, જાધવ બાદ હવે આ ખેલાડી થયો બહાર, જાણો વિગત
નવી દિલ્હીઃ બે વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નઇ સુપર કિંગ્સે આઈપીએલની સીઝન 11માં દમદાર વાપસી કરી છે. દેશના સૌથી અનુભવી કેપ્ટન એમએસ ધોનીના નેતૃત્વમાં યલો બ્રિગેડ શ્રેષ્ઠ ફોર્મમાં નજરે પડી રહી છે. સીએસકે પ્રથમ બે મુકાબલા જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.
પહેલા કેદાર જાધવની ઈજા, બાદમાં ફાફ ડુપ્લેસી અને મુરલી વિજયનું અનફિટ થવું અને બુઘવારે ચેન્નઈની મેચોને પુણે શિફ્ટ કરવામાં આવ્યા બાદ સીએસકે માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે
ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આઈપીએલ સુપરહીરો સુરેશ રૈના આગામી બે મુકાબલા માટે ટીમમાં ઉપલબ્ધ નહીં હોય. રૈનાને 10 એપ્રિલે કેકેઆર સામેની મેચમાં ઇજા થઈ હતી. જેના કારણે તે તરત જ આઉટ થઈ ગયો હતો.
રૈનાની ઈજા થોડી ગંભીર જણાવવામાં આવી રહી છે અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે 15 એપ્રિલ અને રાજસ્થાન રોયલ્સ સામે 20 એપ્રિલની મેચમાં તે રમી નહીં શકે. શરૂઆતની બે મેચમાં પણ રૈના કંઈ ખાસ દમ બતાવી શક્યો નથી. ઓપનિંગ મેચમાં તે મુંબઈ સામે માત્ર 4 રન અને ત્યારબાદ કેકેઆર સામે તેની ઇનિંગ 14 રન પર સમેટાઇ હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્રમોશનલ ઇવેન્ટમાં ધોની અને રૈના.
ચેન્નઇ માટે રાહતના સમાચાર એ છે કે દક્ષિણ આફ્રિકાની ટીમનો કેપ્ટન ફાફ ડુ પ્લેસી આંગળીની ઈજામાંથી મુક્ત થઈ ચૂક્યો છે અને આગામી મેચમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની શકે છે.