નવી દિલ્હીઃ આઈપીએલ 12ની સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર શરૂઆત કરી છે. પોતાની પ્રથમ બે મેચ જીતીને ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી મેચ જીત્યા બાદ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ટીમની સફળતા પર મોટો ખુલાસો કર્યો છે.
બ્રાવોએ કહ્યું કે, તેમની ટીમ મેચ માટે કોઈ પણ પ્રકારની ટીમ મીટિંગ નથી કરતી, અને નથી કોઈ રણનીતિ પણ બનાવવામાં આવતી. અમારી ટીમ બસ એમ જ મેદાનમાં ઉતરી જાય છે અને પોતાની રીતે સ્વાભાવિક રમત રમે છે.


બ્રાવોએ મેચ બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની સાથે બેટિંગ કરવાને લઈ કોઈ રણનીતિ નથી હોતી. અમે કોઈ બેઠક નથી કરતા. અમે મેદાનમાં ઉતરી બસ કામ કરીએ છીએ. બ્રાવોએ ધોનીના વખાણ કરતાં કહ્યું કે, ચેન્નાઈની સફળતા પાછળ ધોનીનો મોટો હાથ છે.


બ્રાવોએ કહ્યું કે, ચેન્નાઈ માટે મુશ્કેલીના સમયમાં ધોનીનો અનુભવ અને વિશ્વના સર્વશ્રેષ્ઠ કપ્તાનનો સાથ જ ઘણો હોય છે. તેણે વધુમાં કહ્યું કે, કોઈ પણ રમત કે ટૂર્નામેન્ટમાં તમે અનુભવને હરાવી નથી શકતા. અમે અમારી નબળાઈ જાણીએ છીએ અને અમે ચતુરાઈથી રમત રમીએ છીએ.

ડ્વેન બ્રાવોએ ચેન્નાઈ સુપરકિંગ્સના ખેલાડીઓની ઉંમર પર પ્રશ્ન ઉઠાવનારા લોકોને પણ જવાબ આપ્યો. બ્રાવોએ કહ્યું, અમે અમારી ઉંમર જાણીએ છીએ. અમારી ઉંમર જે છે તેજ છે અને તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો, પરંતુ આ કોઈ મુદ્દો નથી. અમે 60 વર્ષના વૃદ્ધ નથી. અમે 32થી 35 વર્ષના ખેલાડીઓ છીએ. અમે હજુ પણ જવાન છીએ. અમે શરીરનું સારી રીતે ધ્યાન રાખીએ છીએ અને વધારે અનુભવી છીએ.