મુંબઈઃ યુવરાજ સિંહ (Yuvraj Singh) આ વર્ષે આઈપીએલ (IPL 2019)માં મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમતો જોવા મળશે. આ વખતે પોતાની ચમક બતાવવા માટે યુવરાજ સિંહ ખૂબ પસીનો વહાવી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. ગ્રાઉન્ડ પર આવતા જ યુવરાજ સિંહ ભાવુક થઈ ગયો હતો.


વર્ષ 2011માં યોજાયેલા વર્લ્ડ કપની ફાઈનલ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં જીત મેળવી ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. યુવરાજ જૂની યાદો વિશે વાત કરતો હોય તેવો એક વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.



વીડિયોમાં યુવરાજ વીતેલા દિવસોને યાદ કરતા કહે છે કે, ‘2011ના વર્લ્ડ કપની યાદગીરી તાજી થઈ ગઈ. આ એવી વાત છે જે મારા મનમાં પહેલા આવે છે. સારી યાદગીરી, સૌથી સારી યાદગીરી’. આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ યુવરાજની છઠ્ઠી ટીમ છે. આ પહેલા તે પુણે, બેંગ્લોર, દિલ્હી, પંજાબ અને હૈદરાબાદની ટીમમાંથી રમી ચૂક્યો છે. આ વર્ષે થયેલી હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને એક કરોડમાં ખરીદ્યો છે.