નવી દિલ્હીઃ શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેએ રોહિત શર્માને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, રોહિત શર્માની સ્વાભાવિક કેપ્ટન હોવા ઉપરાંત બીજી પણ ખાસિયત છે. તે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતાં પહેલા ઘણી માહિતી એકત્ર કરે છે. જયવર્ધને મુંબઈ ઈન્ડિયન્સનો કોચ છે. મુંબઈએ રોહિતની કેપ્ટનશિપમાં 2019માં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.


રોહિત શર્મા કરે છે આ કામ
જયવર્ધનેએ સોની ટીવી પિટ સ્ટોપ શોના ઈન્સ્ટાગ્રામ પેજ પર કહ્યું, તે નિશ્ચિત રીતે સ્વાભાવિક કેપ્ટન છે. પરંતુ તેની સાથે અઢળક માહિતી એકત્ર કરે છે. જે તેનું મજબૂત પાસું છું. જે તેને મહાન બનાવે છે.

તેણે જણાવ્યું, અમારી બેઠક લાંબી ચાલતી નથી. જ્યારે કોઈ વસ્તુ બરાબર ન થતી હોય ત્યારે રણનીતિ બનાવવા બેઠક કરીએ છીએ. પરંતુ રોહિત અનેક જાણકારી મેળવે છે. જેનો ઉપયોગ તે મેદાન પર કરે છે અને તે રીતે જ રમે છે.

આઈપીએલમાં રોહિત મુંબઈને કેટલીવાર બનાવી ચુક્યો છે ચેમ્પિયન
રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સ 2013, 2015, 2017 અને 2019માં વિજેતા બની ચુક્યું છે. રોહિત શર્માએ આઈપીએલની 188 મેચમાં 130.8ના સ્ટ્રાઇક રેટથી 4898 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 36 અડધી સદી સામેલ છે.