ઓકલેન્ડઃ કોરોના વાયરસના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનના આયોજનને અનિશ્ચિત મુદત માટે ટાળી દેવામાં આવી છે. બીસીસીઆઈની કોશિશ સપ્ટેમ્બર થી નવેમ્બર વચ્ચે આયોજન કરાવવાની છે. બોર્ડની પ્રાથમિકતા દેશમાં જ આઈપીએલના આયોજનની છે, પરંતુ કોરોનાના વધતા કહેરને લઈ વિદેશમાં આયોજનનો વિકલ્પ પણ છે. આ દરમિયાન ભારતીય બોર્ડે ન્યૂઝીલેન્ડને આઈપીએલના આયોજન માટે પ્રસ્તાવ આપ્યો હોવાના અહેવાલ આવ્યા હતા. પરંતુ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે અહેવાલ ખોટા હોવાનું જણાવ્યું છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના પ્રવકતા રિચાર્ડ બુકે કહ્યું, તે રિપોર્ટ અટકળો સિવાય કંઈ નથી. અમે આઈપીએલની યજમાનીનો પ્રસ્તાવ રાખ્યો નથી અને અમે તેમ કરવા પણ નથી ઈચ્છતા.
ગાંગુલીએ ગઈકાલે કહ્યું હતું, અમે આઈપીએલ ભારતમાં રમાય તેમ ઈચ્છીએ છીએ, ક્રિકેટની વાપસીની જરૂર છે. અમારા માટે આ ઑફસીઝન છે. અમે માર્ટમાં ઘરેલુ સીઝન સમાપ્ત કરી હતી. જે બાદ અમારે આઈપીએલ સ્થગિત કરવી પડી, જે અમારી ઘરેલુ સીઝનનો મહત્વનો હિસ્સો છે.