નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ટી20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020નું આયોજન રદ્દ થઈ શકે છે. 29 માર્ચથી 24 મે સુધી  રમાનાર આ ટૂર્નામેન્ટ પર કોરોનાનો માર પડી શકે છે. તેના પર પ્રતિબંધ લગાવવા માટે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે.


વકીલ જી એલેક્સ બેનજીગરે એક પીઆઈએલ કરી છે જેના પર જસ્ટિસ એમએમ સુધીન્દ્ર અને કૃષ્ણન રામાસ્વામીની ડીવિઝન બેંચ 12 માર્ચના રોજ સુનાવણી કરી શકે છે.

અરજીકર્તાએ જણાવ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશનની વેબસાઈટ અનુસાર અત્યાર સુધી કોરોના વાયરસની ખાસ દવા કે તેનાથી બચવાની સારવાર ઉપલબ્ધ નથી. અરજીકર્તા અનુસાર કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ એક મહામારી જેવી સ્થિતિ બની ગઈ છે.

ઇટલી ફેડરેશન લીગ વિશ્વની સૌથી જૂની લીગમાંથી એક છે જે ખરાબ રીતે પ્રભાવિત થઈ. 3 એપ્રિલ સુધી ઇટલીની સરકાર દ્વારા ફુટબોલને બંધ દરવાજામાં રમાઈ રહી હતી અને મેદાન પર એકપણ દર્શકને જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

અહેવાલ અનુસાર આ સિવાય અરજીકર્તાએ કહ્યું કે તેમણે એક પ્રેઝન્ટેશન મોકલ્યું હતું કે બીસીસીઆઈને આઈપીએલ ટી20 ક્રિકેટ લીગનું આયોજન કરવાની મંજૂરી ન આપવામાં આવે. જો કે, આ અંગે કોઈ જવાબ ન આવતા હવે તેમણે અરજી કરી છે. આપને જણાવી દઈએ કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ પહેલા કહી ચૂક્યા છે કે આઈપીએલને સ્થગિત કરવા અંગે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે ટુર્નામેન્ટ દરમિયાન કોરોના વાયરસથી બચવા માટે દરેક મહત્વના પગલા લેવામાં આવશે.