નવી દિલ્હીઃ કોરોના વાયરસે વિશ્વભરમાં કોહરામ મચાવી રાખ્યો છે. 117થી વધારે દેશ કોરોનાનો સામનો કરી રહ્યા છે. તમામ દેશો કોરોનાને લઈ સાવધાની રાખી રહ્યા છે તેમ છતાં અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેના કારણે વિશ્વ આરોગ્ય સંગઠને તેને મહામારી જાહેર કરી દીધી છે અને કોરોનાના દર્દીઓની વધી સંખ્યાને લઈ કડક પગલાં ભર્યા છે.


સરકારે રાજદૂતોને બાદ કરી તમામ વિદેશી નાગરિકોના 15 એપ્રિલ સુધી વિઝા રદ્દ કરી દીધા છે. જેના કારણે આઈપીએલમાં વિદેશી ખેલાડીઓનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.  ચીનના વુહાનમાં 31 ડિસેમ્બર, 2019ના રોજ પ્રથમ કેસ સામે આવ્યા બાદ માત્ર 72 દિવસમાં 117થી વધુ દેશોમાં આ વાયરસ ફેલાઈ ચુક્યો છે.

કોરોનાની મહામારી એટલી ખતનાક છે કે વિશ્વમાં અત્યાર સુધીમાં 4000થી વધારે લોકોના જીવ ગયા છે. જેમાં 3000થી વધારે લોકો માત્ર ચીનમાં મોતને ભેટયા છે. ચીન બાદ ઈરાન અને ઈટાલીમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે. ઈટાલીમાં 24 કલાકમાં 196 લોકો જીવ ગુમાવી ચુક્યા છે.


ઈમિગ્રેશન બ્યુરોએ નોટીફીકેશન બહાર પાડતા કહ્યું છે કે દેશમાં પ્રવેશ ન કરનારા ફ્રાંન્સ, જર્મની અને સ્પેનના એવા નાગરિકો જેમના નિયમિત અને ઈ-વિઝા અત્યાર સુધીમાં ઈસ્યુ થઈ ચૂક્યા છે, તેને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય જે નાગરિકોએ 1 ફેબ્રુઆરી કે ત્યાર બાદ સ્પેન, જર્મની અને ફ્રાન્સની મુસાફરી કરી છે, તેમના નિયમિત અને ઈ-વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મહામારી ક્યારે જાહેર કરવામાં આવે છે

કોઈપણ સંક્રમણથી ફેલાતી બીમારી સરળતાથી મહામારી જાહેર થતી નથી.આ પહેલા 2009માં સ્વાઇન ફ્લુને મહામારી જાહેર કરાઈ હતી. વિશ્વમાં અલગ-અલગ દેશોમાં જ્યારે કોઈ સંક્રમણ ફેલાય અને તેનો ખતરો એક જ સમયમાં વિશ્વના તમામ લોકો કરી રહ્યા હોય ત્યારે તેને મહામારી જાહેર કરાય છે. કોરોનાની સૌથી મોટી ચિંતા તેની સારવારને લઈ છે. કારણકે અત્યાર સુધી વૈજ્ઞાનિકો કોરોનાની સારવાર શોધી શક્યા નથી.