નવી દિલ્હી: આઈપીએલ 2020માં ચેન્નઈ સુપરકિંગ્સની મુશ્કેલી વધી રહી છે. હવે ટીમના ખેલાડી ઋતુરાજ ગાયકવાડનો કોરાના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગાયકવાડે 14 દિવસ માટે પોતાને આઈસોલેટ કર્યા છે.


કોરોના વાયરસથી સંક્રમિત થનારા ગાયકવાડા ચેન્નઈ સુપરકિંગ્સના બીજા ખેલાડી છે. શુક્રવારે ટીમના એક ખેલાડી સહિત 12 સપોર્ટ સ્ટાફની રિપોર્ટ પોઝિટિવ આવી હતી. જ્યારે ટીમના બેટ્સમેન સુરેશ રૈના અંગત કારણોસર ભારત પરત ફર્યો છે.

ગાયકવાડ, આઈપીએલ 2019ની નીલામીમાં ચેન્નઈ સુપરકિંગ્સમાં સામેલ થયો હતો અને ત્યારબાદ ટીમ માટે ડેબ્યૂ કરવાનો હતો. મહારાષ્ટ્રથી આવનાર બેટ્સમેન ગાયકવાડનું ક્રિકેટમાં સતત પ્રદર્શન સારૂ રહ્યું છે.

જ્યારે, ગાયકવાડ પહેલા કોરોના સંક્રમિત થયેલા ટીમના ખેલાડી દીપક ચહર 2018થી ચેન્નઈ સુપરકિંગ્સમાં છે. તેણે 2016માં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટથી શરૂઆત કરી હતી. ચેન્નઈ સુપરકિંગ્સ સાથે અત્યાર સુધીના બે સીઝનમાં તેણે 29 મેચમાં 32 વિકેટ ઝડપી છે. આઈપીએલ 2019 સમગ્ર સીઝનમાં 22 વિકેટ ઝડપી ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

ટીમના બેટ્સમેન સુરેશ રૈના અંગત કારણોસર યૂએઈથી ઘરે પરત ફર્યો છે. ચેન્નઈ સુપરકિંગ્સના સીઈઓ કેએસ વિશ્વનાથન અનુસાર તે આઈપીએલમાં પૂરી સીઝનમાં નહી રમે.