નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશ દુનિયા ઠપ થઈ ગઈ છે. ક્રિકેટ જગત સાથે જોડાયેલ તમામ ખેલાડી પોતાના ઘરે પરત ફરી ગયા છે. આઈપીએલ 2020માં પણ હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે. આ મહામારીને કારણે બધા પરેશાન છે, પરંતુ ભારતીય ટીમનો એક ખેલાડી એવો પણ છે જેને કોરોના વાયરસને કારણે ફાયદો થયે છે. સ્ટ્રેચ ફ્રેક્ચરનો સામનો કરી રહેલ દીપક ચાહરનું માનવું છે કે હવે તેને આઈપીએલ પહેલા ઇજામાંથી બહાર આવવા માટે વધારે સમય મળી જશે.


ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમનાર દીપક ચાહરને એ પણ લાગે છે કે હાલના સમયમાં આઈપીએલ 2020નું આયોજન ખૂબ જ મુશ્કેલ છે. મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે, ‘વ્યક્તિગત રીતે કહું તો કોરોના વાયરસને કારણે મને ખુદ ફિટ થવામાં વધારાનો સમય મળી ગયો છે. જો હવે આઈપીએલ થાય તો કેટલીક મેચ મિસ કર્યા બાદ તેનો હિસ્સો બની જઈશ.’

નોંધનીય છે કે, દીપક ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ બીજા વન ડે મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે લાંબા સમયથી એનસીએ(NCA) માં હતો. જો કે, 19 માર્ચે એનસીએને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ત્યારે બાદ હવે દીપક પોતાના ઘરે પરત ફર્યો છે. માહિતી મુજબ ત્યાં દીપક પોતાની એકેડમીમાં ટ્રેનિંગ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના કારણે આઈપીએલ મુલતવી થતા દીપકને ફીટ થવા વધુ સમય મળી ગયો છે. આઈપીએલમાં દીપક મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) તરફથી રમે છે. દીપક હાલ તેની ટ્રેડિંગ અને અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે. તેથી આઈપીએલ શરૂ થતા પહેલા એકદમ ફીટ થઈ શકે અને સીએસકે ટીમમાં સામેલ થઈ શકે.